ભાવનગર ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી
યુવા મતદારો જાગૃત બની લોકશાહીના મહાપર્વનો હિસ્સો બને - જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા
ભાવનગર
ભાવનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડ ખાતે ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ અવસરે જણાવ્યું હતું કે,યુવા મતદારો જાગૃત બની લોકશાહીના મહાપર્વનો હિસ્સો બને.સશકત મતદાર - સક્ષમ મતદાર - સમર્થ મતદાર તથા જવાબદાર મતદાર બની વિવેકબુધ્ધિથી કોઇ પણ જાતના ભય, લોભ, લાલચ વિના પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટરશ્રીએ જે મતદારોના નામ પ્રથમ મતદાર યાદીમાં પ્રસિધ્ધ થયાં છે, એવા યુવા મતદારોને શુભેચ્છા પાઠવી જવાબદાર નાગરિક તરીકે ભારતની લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે પોતાનો સહયોગ આપવા જણાવ્યું હતું અને યુવા મતદારોને પ્રત્સાહીત કર્યા હતા.
આ પ્રસંગે નવા મતદારોના મોબાઈલમાં ઈ-એપિક કાર્ડ ડાઉનલોડ કરાવવામાં આવ્યા હતા. ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી ભાવનગરના વાઇસ ચાન્સેલર શ્રી મહિપતસિંહ ચાવડા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌર, એન.સી.સી કમાન્ડિંગ ઓફિસર શ્રી કર્નલ વિક્રમ ગેરા, નેવલ કમાન્ડિંગ ઓફિસર શ્રી કૌશલ સોનેજી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ખેર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.