મહુવા નમામિ દેવી નર્મદે મહોત્સવ

શ્રી મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં મહુવા ખાતે  દેવી નમામિ નર્મદે મહોત્સવ ઉજવાયો

નર્મદાનીર ઘર ઘર સુધી પહોચાડવા ખુબ લાંબો સંઘર્ષ કરવો પડયો છે - રાજય મંત્રી શ્રી વિભાવરીબેન દવે

ભાવનગર

ગુજરાત રાજયની જીવાદોરી સમાન નર્મદા નદી પર બાંધવામાં આવેલ સરદાર સરોવર ડેમનું બાંધકામ પુર્ણ થયા બાદ પ્રથમ વખત નર્મદા ડેમની પુર્ણ સપાટી એટલે કે, ૧૩૮.૬૭ મીટર સુધી જળરાશી ભરાયેલ છે. આમ ગુજરાતની પ્રજાનું વર્ષો જુનું સ્વપ્ન પરિપુર્ણ થતા રાજય સરકાર દ્વારા આ ઐતિહાસિક ક્ષણની ઉત્સાહભેર ઉજવણી કરવાનું નકી કરવામાં આવેલ જે અંતર્ગત જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ભાવનગર જિલ્લાકક્ષાનો નમામિ દેવી નર્મદે મહોત્સવ રાજયમંત્રી શ્રી વિભાવરીબેન દવે તેમજ શ્રી મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં મહુવા તાલુકાના વડલી ગામે ભુતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં યોજાયો હતો.

આ કાર્યક્રમમાં રાજયમંત્રી શ્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે, જેના દર્શન માત્રથી સૌના પાપ ધોવાય તેવી પવિત્ર માં નર્મદાના નીર એ કેનાલ લાઇન નથી પરંતુ લાઇફ લાઇન છે. આ તકે રાજયમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને જન્મદિનની સુભેચ્છા આપી હતી. તેમજ ભુતકાળની ઘટનાઓ વાગોળતા જણાવ્યું હતું કે નર્મદાનીર ઘર ઘર સુધી પહોચાડવા ખુબ લાંબો સંઘર્ષ કરવો પડયો છે, દેશના વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદી ડેમની ઉંચાઇ વધારવા ઉપવાસ પર બેઠા તેમજ ડેમના દરવાજા મુકવા ખુબ રજુઆતો, અથાક પ્રયત્નો કર્યા ત્યારે આજ આપણે સૌ એના સારા ફળ મેળવી રહયા છીએ. મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યુ હતુ કે નર્મદા ડેમ સંપુર્ણ સપાટીએ ભરાતા રાજયના ૪ કરોડ લોકોને પીવા માટે તેમજ ૧૮,૦૦૦ લાખ હેકટર જમીનને ખેતી માટે પાણી ઉપલ્બધ થશે, તેમજ સૌની યોજના થકી નર્મદાનીર મારફત તળાવ,ડેમ, ચેકડેમ છલોછલ ભરાશે.

શ્રી મોરારિબાપુએ આર્શીવચન આપતા જણાવ્યું હતુ કે, ઇશ્વરે આપેલ પાંચેય તત્વોની જાળવણી કરવીએ આપણી ફરજ છે, જળ એ જ જીવન છે તેની જાળવણી કરશુ તો આવતીકાલ સુખમય બનશે સંતશ્રી મોરારી બાપુએ વડાપ્રધાન શ્રીનરેન્દ્રભાઇ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ આપતા ઉમેર્યુ હતુ કે, એક ગુજરાતીએ રાજય, રાષ્ટ્ર તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આટલુ મોટુ ગજુ કાઢયું એ આપણા માટે ગૌરવની વાત. વધુમા ઉમેર્યુ હતુ કે શાસ્ત્રાનુસાર જે રાષ્ટ્રનો રાજા ગતિવાન, નીતિવાન તેમજ સુમતિવાન હોય એને ત્યાં કયારેય વરસાદની મુશ્કેલી પડતી નથી.

આ પ્રસંગે ઉપસ્થિત રહેલ મહુવાના ધારાસભ્યશ્રી મકવાણાએ જણાવ્યું હતુ કે, ગુજરાત રાજયની જીવાદોરી સમાન માં નર્મદાના જળથી શેત્રુજી,માલણ,મેથળા તેમજ નિકોલ બંધારામાં પાણી આવશે અને દુષ્કાળએ ભુતકાળ બનશે.

આ કાર્યક્રમને અંતે ઉપસ્થિત સૌને મેઘ લાડુનો પ્રસાદ અપાયો હતો, તેમજ મંત્રીશ્રી વિભાવરીબેન દવે અને શ્રીમોરારિબાપુએ વૃક્ષારોપણ કર્યુ હતુ. ભુતનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ તેમજ પ્રાદેશિક નગરપાલિકાના કમિશ્નરશ્રી યોગેશ નિરગુડેએ શ્રમદાન કરી સફાઇ કામ કર્યુ હતુ.

આ કાર્યક્રમમાં મહુવાના પુર્વ ધારાસભ્યશ્રી ભાવનાબેન મકવાણા, મહુવા નગરપાલિકાના પ્રમુખશ્રી જતિનભાઇ પંડયા, નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ, જિલ્લા કલેકટરશ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વરૂણકુમાર બરનવાલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશ્નરશ્રી યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષકશ્રી જયપાલસિંહ રાઠોર, નિવાસી અધિક કલેક્ટરશ્રી ઉમેશ વ્યાસ,પ્રાંત અધિકારી શ્રીએસ.એમ રજવાડી, કાર્યપાલક ઇજનેરશ્રી સિંચાઇ  પટેલ,શ્રી પટેલ, મામલતદારશ્રી કનેરિયા તેમજ બહોળી સંખ્યામાં મહુવા તાલુકા તેમજ આજુ બાજુના વિસ્તારમાંથી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.