સિહોરના સાત્વિક ઉપાસક પૂજ્ય શ્રી કિશોરભાઈનું ભાવનગર ખાતે દેહાવસાન
ઈશ્વરિયા બુધવાર તા.06-05-2020
જગધાત્રી શક્તિ સ્થાન સિહોરના સ્થાપક સાત્વિક ઉપાસક પૂજ્ય શ્રી કિશોરભાઈનું મંગળવારે ભાવનગર ખાતે દેહાવસાન થયું છે.
સાત્વિક શક્તિ ઉપાસના સાથે જીવન વ્યતીત કરી રહેલા પૂજ્ય શ્રી કિશોરભાઈ લગભગ બે દસકાથી ગોંડલના જાણિતા સાધક પૂજ્ય નાથાબાપાના સંપર્કમાં રહેલા. ભગવતી અંબાજી પર અપૂર્વ શ્રદ્ધા સાથે અનુષ્ઠાન યજ્ઞ વગેરે કર્મમાં તેઓ પ્રવૃત્ત રહેતા હતા.
સિહોરમાં જગધાત્રી શક્તિ સ્થાન સ્થાપક શ્રી કિશોરભાઈ હંમેશા ગંભીર છતાં મંદ મંદ હસવા સાથે વાર્તાલાપ કરતા રહેતા. તેમના આ ઉપાસના ભાવમાં સિહોર,ભાવનગર, અમદાવાદ, મુંબઈ વગેરેએ સ્થાનોના શ્રદ્ધાળુ અનુયાયીઓ જોડાયેલા રહ્યા છે.
પૂજ્ય કિશોરભાઈ છેલ્લા કેટલાક દિવસથી તબિયત નરમ રહેતી હોઈ ભાવનગર રહ્યા હતા. આ દરમિયાન તેઓનું મંગળવારે દેહાવસાન થયું. આથી તેઓના ભાવાવરણ સાથે સંકળાયેલાઓમાં દુઃખની લાગણી જન્મી છે. પૂજ્ય કિશોરભાઈ ખૂબ ઊંચી રીતે શક્તિ ઉપાસના સાથે જોડાયેલા હતા પરંતુ પોતાના પર ક્યારેય તે ભાવ પ્રદર્શિત થવા દીધો ના હતો અને સરળ મૃદુ સ્વભાવ જ સૌ શ્રદ્ધાળુ અનુયાયીઓને માણવા મળ્યો હતો.