ભેખધારી રક્તદાતા શ્રી રાજેશ મહેતાએ ૧૭૫મું અંતિમ રક્તદાન કર્યું
ભાવનગર ખાતે રક્તદાતા સન્માન કાર્યક્રમ યોજાયો
ભાવનગર
રક્તદાન માટે ભાવનગરનું ઉજળું નામ છે ત્યારે ભાવનગરના જાણીતા અગ્રણી શ્રી રાજેશ મહેતાએ ૧૭૫મું અને અંતિમ રક્તદાન કર્યું. ભાવનગર ખાતે રક્તદાતાઓ તથા નિયમિત રક્તદાન શિબિર આયોજકોના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો.
ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાનસફ્યુઝનના ઉપક્રમે સર ટી હોસ્પિટલ બ્લડ બેંક,સરકારી મેડીકલ કોલેજ ભાવનગર અને રોટરી કલબ ભાવનગર ગ્લોબલ ના યજમાનપદે શિવશક્તિ હોલ ખાતે શતક વીર રક્તદાતાઓ તથા નિયમિત રક્તદાન શિબિર આયોજકોના સન્માનનો કાર્યક્રમ યોજાઈ ગયો.
આ રક્તદાન શિબિરમાં ભાવનગરના ભેખધારી રક્તદાતા શ્રી રાજેશ મહેતાએ પોતાના જીવનકાળનું ૧૭૫મું અને અંતિમ રક્તદાન કર્યું. આ કાર્યક્રમમાં ભાવનગર શહેર અને જિલ્લાના ૧૦૦થી વધુ વખત રક્તદાન કરનાર ૧૨ જેટલા રક્તદાતાઓ તેમ જ નિયમિત કેમ્પ આયોજન કરતી ૧૨૦ જેટલી સંસ્થાઓને સન્માનિત કરવામાં આવેલ હતી.
આ પ્રસંગે ઉપસ્થિત તબીબ શ્રી રાજેન્દ્ર કાબરિયાએ અંગદાન ક્ષેત્રે ભાવનગર જિલ્લાના પ્રદાન બાબતે આંકડાકીય માહિતીઓ સાથે લોકોને અંગદાન અને દેહદાન ના મહત્વ પરત્વે જાગૃત કર્યા હતા.
ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ સાહિત્યકારો અને વક્તાશ્રી ભદ્રાયુ વછરાજાની અને શ્રી ભાગ્યેશ જહાએ અત્યંત પ્રેરણાદાયી વાતો થકી ઉપસ્થિત સર્વેને રક્તદાન અને અંગદાન જેવી માનવસેવાની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહિત કર્યા હતા.
મેડિકલ કોલેજના અધિક્ષક શ્રી હેમંત મહેતા, સર ટી હોસ્પિટલના અધિક અધિક્ષક તબીબ શ્રી ભરત પંચાલ, બ્લડ બેંકના અધ્યક્ષ શ્રી શૈલા શાહ, ફરજ પરના તબીબ શ્રી પ્રજ્ઞેશ શાહ, રોટરીઅધ્યક્ષ શ્રી અમિતાબેન શાહ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.