પિતાના અવસાન પછી ઉકાળા વિતરણ

કૃષ્ણપરા ગામના ઉદ્યોગપતિ અગ્રણીએ
પિતાના અવસાન પછી આજુબાજુના ગામોમાં ઉકાળા વિતરણ કર્યું
કૃષ્ણપરા
કૃષ્ણપરાના વતની ઉદ્યોગપતિ દાતાએ પોતાના સ્વર્ગસ્થ પિતાના શ્રેયાર્થે આજુબાજુના ગામોમાં કોરોના બિમારી સંદર્ભે ઉકાળા વિતરણ કર્યું છે.
સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો ઉપદ્રવ રહેલો છે. આ પરિસ્થિતિમાં સરકાર અને સંસ્થાઓ ખૂબ કામ કરી રહેલ છે, જેમાં વ્યક્તિગત રીતે સમાજ સેવાનું કામ પણ કરનારા હોય છે.
સિહોર તાલુકાના સણોસરા પાસેના કૃષ્ણપરા ગામના શ્રી જસમતભાઈ ગોટી તારીખ 18-07-2020 શનિવારે અવસાન પામ્યા. સ્વર્ગસ્થના દીકરાઓએ પિતા પાછળ સામાજિક કામો માટે સંકલ્પ કર્યો. આ પરિવારે આ ગામમાં તેમજ અન્યત્ર ખૂબ દાન કરેલું છે, ગામમાં સુંદર પ્રવેશદ્વાર નિર્માણ કરેલું છે. એક પુત્ર ઉદ્યોગપતિ દાતા શ્રી દેવરાજભાઈ ગોટીએ પિતા પાછળ કૃષ્ણપરા સહિત આજુબાજુના ચોરવડલા, રામધરી તથા ઈશ્વરિયા ગામમાં ઉકાળા વિતરણ કર્યું.
શ્રી દેવરાજભાઈ ગોટી સાથે ભાઈઓ શ્રી ઠાકરશીભાઈ ગોટી, શ્રી કેશવભાઈ ગોટી, શ્રી હિતેશભાઈ ગોટી અને પૂરો પરિવાર સામાજિક સેવા કાર્યમાં જોડાયેલા રહે છે.
આ પરિવાર દ્વારા સોનગઢ પોલીસ મથક ખાતે સ્વર્ગસ્થ શ્રી જસમતભાઈ ગોટીના સ્મરણાર્થે વિશાળ વૃક્ષવાટિકાનું નિર્માણ પણ કરનાર છે, જેમાં વન વિભાગના સહકારથી રાજ્યમાં નમૂનેદાર બાગ બનાવવા આયોજન કર્યાનું શ્રી દેવરાજભાઈ ગોટીએ જણાવ્યું છે.
પોતાના પિતાના સ્મરણાર્થે આ પંથકમાં હજુ બીજા સામાજિક કામો કરવા માટે પણ શ્રી દેવરાજભાઈ ગોટી દ્વારા આયોજન થઈ રહ્યું છે, જે આ વિસ્તાર અને સમાજ માટે પ્રેરણાદાયક છે.