૯૨ વર્ષના વૃદ્ધ તેમજ ૧૮ માસના બાળકને કોરોના મુક્ત કર્યા બાદ
કોરોના પોઝીટીવ મહિલાની સફળ પ્રસુતિ કરાવી નવો કીર્તિમાન સર્જતા ભાવનગરના તબીબો
ભાવનગર
ભાવનગરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલના તબીબો કોરોના મહામારી સામે જે લડત આપી રહ્યા છે એ ખરેખર અભૂતપૂર્વ છે. હજી થોડા સમય પહેલા જ ૯૨ વર્ષના વૃદ્ધ તેમજ ૧૮ માસના કોરોનાગ્રસ્ત બાળકને કોરોના મુક્ત કરી ભાવનગરના તબીબોએ સાબિત કરી આપ્યું હતું કે અહીંની સેવા અને સુશ્રુષા કેટલી શ્રેષ્ઠ તથા અસરકારક છે. આજ આવી જ એક ખુબ જ જોખમકારક અને કપરી સ્થિતિ પર વિજય મેળવી કોવિડ-૧૯ને પરાસ્ત કરવામા ભાવનગરના તબીબોએ એક નવું પ્રકરણ ઉમેર્યું છે.
બોટાદ ખાતે રહેતા નઝમાબેન સમીરભાઈ સલોત નામના મહિલાને ગત તા. ૨૪/૪/૨૦૨૦ના રોજ બોટાદના સાળંગપુર ખાતે ઉભી કરાયેલ કોવિડ-૧૯ હોસ્પિટલમાં કોરોના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા હતા. જેમનો તા.૨૫ના રોજ કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેમની વધુ સઘન સારવાર શરૂ કરાઈ હતી. પરંતુ આ મહિલાને જ્યારે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો ત્યારે આ મહિલાને નવ માસનો ગર્ભ હતો અને ગમે તે ઘડીએ આ મહિલાની પ્રસુતિ કરાવવી પડે તેવી સ્થિતિ ઉભી થાય તેમ હતી. આથી એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર બોટાદ તથા ભાવનગરના તબીબોએ સંકલન કરી મહિલાને વધુ સારવાર માટે ભાવનગર ખસેડવાનો નિર્ણય કર્યો.
નઝમાબહેનને બોટાદથી ૧૦૮ દ્વારા ભાવનગર લવાઈ રહ્યા હતા ત્યારે જ રસ્તામા એમને પ્રસુતિની પીડા ઉપડી જેથી ૧૦૮ના ડોક્ટર એ સર.ટી હોસ્પિટલના હાર્દિક ગાથણીનો સંપર્ક કર્યો હતો.જેમણે
સમગ્ર ઘટનાથી ડો. કાનકલતા બહેન નકુમને વાકેફ કર્યા હતા. ડો.નકુમના માર્ગદર્શન નીચે ભાવનગર થી એક ટીમ બોટાદ તરફ રવાના જવા રવાના કરવામાં આવી અને ફોન પર જ બાકીનું માર્ગદર્શન આપવાનું શરૂ રખાયું.બીજી તરફ હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં તાત્કાલિક લેબર રૂમની વ્યવસ્થા ઉભી કરવાની કામગીરી શરૂ કરાઈ. પરંતુ જ્યારે ડોક્ટરને જાણ થઈ કે નઝમાબહેની અગાઉ પણ સિઝર્યન દ્વારા પ્રસુતિ થયેલ છે. આથી આ વખતે પણ સિઝર્યન પ્રસુતિ થવાની શક્યતાઓ વધારે હોય એ બાબત ધ્યાને લઇ યુદ્ધના ધોરણે આઈસોલેશન વોર્ડમાં આખું ઓપરેશન થિયેટર જ ઉભું કરવામાં આવ્યું. નઝમાબેનને ૧૦૮ની ટીમ દ્વારા તાત્કાલિક આ ઓપરેશન થીયેટરમાં પહોંચતા કરાયા અને જ્યાં ડો. કનકલતા બહેન અને તેમની ટીમ દ્વારા નઝમાબેનની સિઝર્યન ઓપરેશન કરી સફળ પ્રસુતિ કરાવવામાં આવી અને નઝમાબહેને ૨ કિલો ૮૦૦ ગ્રામના તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો.
આ અંગેની વધુ વિગતો આપતા સર ટી. હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટિવ શ્રી હાર્દિક ગાથાણીએ જણાવ્યું હતું કે આ ખૂબ જ અઘરી પરિસ્થિતિ હતી. એક પછી એક નવા વળાંક આવતા જ જતા હતા. પરંતુ સમગ્ર ટીમની સતર્કતા, કાર્યનિષ્ઠા અને ત્વરિત નિર્ણયશક્તિના કારણે આજ આવી કપરી પરિસ્થિતિ પર પણ ભાવનગરની ટીમ વિજય મેળવવામા સફળ રહી હતી.