કોરોના જરૂરી પ્રતિબંધો

કોરોના સંક્રમણને વધતું અટકાવવા જરૂરી પ્રતિબંધો 
 
મોલ, થીયેટર, પાનના ગલ્લા, હોટેલો, મિઠાઈ-ફરસાણની દુકાનો, જીમ, સ્વિમિંગ પુલ, શૈક્ષણિક સંસ્થાઓ વગેરે રહેશે બંધ
સભા, સરઘસ કે કોઈપણ પ્રકારના મેળાવડા સક્ષમ સત્તાધિકારીની પૂર્વ મંજૂરી સિવાય યોજી શકાશે નહીં
 
ભાવનગર
 
હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ બાબતે ભારત સરકારશ્રી અને ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલ છે. ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાતા જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા પ્રતિબંધો ફરમાવવામા આવ્યા છે.
 
નોવેલ કોરોના વાયરસ COVID-2019ના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની વધુ અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ નીચે મુજબની વિગતએ ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો મુકવા જરૂરી જણાતા જિલ્લા કલેકટર શ્રી ગૌરાંગ મકવાણા દ્વારા ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ ૧૪૪ થી આગામી તા.૨૦/૦૩/૨૦૨૦ થી તા.૨૯/૦૩/૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તાર માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડેલ હતુ. જેને સરકારશ્રીના ગૃહ વિભાગના તા.૧૪/૪/૨૦૨૦ના જાહેરનામાથી સમગ્ર રાજ્યમા લોકડાઉનને તા.૩/૫/૨૦૨૦ સુધી લંબાવવામા આવેલ છે. જેથી તા.૧૫/૪/૨૦૨૦ થી તા.૩/૫/૨૦૨૦ના સમયગાળા દરમ્યાન ભાવનગર જિલ્લાના સમગ્ર વિસ્તારમા પ્રતિબંધો ફરમાવવામા આવ્યા છે.
 
ભાવનગર જિલ્લામાં જાહેર સ્થળોએ સક્ષમ સત્તાધિકારીની પૂર્વ લેખિત પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરી શકાશે નહીં કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં. સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનધિકૃત/ ગેરકાયદેસર રીતે ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એક સાથે કોઈપણ જગ્યાએ એકઠા થવુ નહી.
 
સમગ્ર ભાવનગર જિલ્લાના વિસ્તારમા કોઈપણ વ્યક્તિએ બીનજરૂરી રીતે ઘરની બહાર નિકળવુ નહી કે અવર-જવર કરવી નહી અને જિલ્લાની હદ ક્રોસ કરવી નહી તેમજ લોકડાઉનની ચુસ્ત અમલવારી કરવી. શોપિંગ મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા કે નાટ્યગૃહો કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ કરવાના રહેશે. જીમ, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, સ્વિમિંગ પૂલ, ડાન્સ ક્લાસીસ, ગેઈમ ઝોન, ક્લબ હાઉસ કે જેમાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવાના રહેશે. પાન-માવાના ગલ્લાઓ, સિગારેટ, બીડીની દુકાનો તથા આ પ્રકારની ચીજવસ્તુઓનું વેચાણ કરતી દુકાનોના કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય તેવી તમામ દુકાનો બંધ રાખવાની રહેશે.
 
શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસ વગેરે સ્થળોએ તમામ પ્રકારના શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના રહેશે. તમામ હોટેલો, રેસ્ટોરન્ટ, ખાણી-પીણીના સ્થળો, મીઠાઇ ફરસાણની દુકાનો, ભોજનાલય તથા તમામ ખાનગી સ્થળ કે જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા જાહેર સ્થળોના સંચાલકોએ નોવેલ કોરોના વાયરસ COVID-19ને ફેલાતો અટકાવવા માટે સરકારશ્રી તરફથી જાહેર કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ જરૂરી તમામ પ્રકારે હાઇજીનની વ્યવસ્થા કરી પૂરતી તકેદારી રાખવાની રહેશે.
 
કોઈપણ વ્યક્તિ/સંસ્થા કોરોના વાયરસ અંગેની કોઈપણ પ્રકારની અફવા પ્રિન્ટ કે સોસીયલ મીડિયા મારફતે ફેલાવશે તો તે ગુનો ગણાશે અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
 
જો કોઈ મુસાફર જાહેર થયેલ કોરોના વાયરસ પોઝિટિવ વિસ્તાર/દેશમાંથી છેલ્લા ૧૪ દિવસમાં મુસાફરી કરીને આવેલ હોય તો તેમને નજીકની સરકારી હોસ્પિટલ ખાતે/જિલ્લા પંચાયત કચેરી હેલ્પલાઇન નંબર ૦૨૭૮ ૨૪૨૩૬૬૫/ ડિઝાસ્ટર કચેરી હેલ્પલાઇન નંબર ૦૨૭૮ ૨૫૨૧૫૫૪-૫૫/જિલ્લા ટોલ ફ્રી હેલ્પલાઇન લાઇન નંબર ૧૦૭૭/સ્ટેટ ટોલ ફ્રી નંબર ૧૦૪ પર ફરજીયાત જાણકારી આપવાની રહેશે. તેમણે વહીવટી તંત્રની સુચના અનુસાર હોમ ક્વોરોન્ટાઈન, આઈસોલેશન ક્વોરોન્ટાઈન પ્રોટોકોલનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. જો તેમ કરવામા નહી આવે તો તેમણે ફરજીયાતપણે ભાવનગર જિલ્લાના ક્વોરોન્ટાઈન વોર્ડમા ખસેડી એપેડેમિક ડિસીઝ એક્ટ-૧૮૯૭ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે. કોઈ વિસ્તારમા ક્લસટર ક્વોરોન્ટાઈન જાહેર કરેલ હોય કે કોઈને ફેસેલીટી ક્વોરોન્ટાઈનમા ખસેડવામા આવેલ હોય તેમણે જે તે ક્વોરોન્ટાઈનના પ્રોટોકોલનુ ચુસ્તપણે પાલન કરવાનુ રહેશે. અન્યથા જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવશે.
 
જાહેર રસ્તાઓ પર કોઈ વ્યક્તિ થુંકીને કે અન્ય રીતે ગંદકી કરશે અથવા ગંદકી ફેલાવશે તો તેમની પાસેથી નિયમોનુસાર દંડ વસુલ કરવામા આવશે.
 
પોલીસ અધીક્ષકશ્રી દ્વારા ભાવનગર જિલ્લાના મુખ્ય પ્રવેશ માર્ગો પર યોગ્ય બંદોબસ્ત ગોઠવી મોટા પ્રમાણમાં રહેતી લોકોની અવરજવરને મર્યાદીત અને નિયંત્રિત કરવા તમામ આવશ્યક પગલાં લેવાના રહેશે.
 
આ જાહેરનામાના ભંગ બદલ પગલા લેવા ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ના ૪૫મા અધિનિયમ)ની કલમ ૧૮૮ મુજબ સજાને પાત્ર થશે તેમજ તેના ભંગ બદલ પગલા લેવા ફોજદારી કામ માંડવા માટે હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે.