ઈશ્વરિયા માધ્યમિક શાળા

ઈશ્વરિયા ગામને સરકારી માધ્યમિક શાળા ફાળવવામાં આવતા ગ્રામજનોમાં આનંદ
આ સત્રથી જ ધોરણ 9 તથા 10નો અભ્યાસક્રમ શરૂ થશે

ઈશ્વરિયા ગુરુવાર તા. 11-06-2020 
     રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામને સરકારી માધ્યમિક શાળા ફાળવવામાં આવી છે. અહીં આ સત્રથી જ ધોરણ 9 તથા 10નો અભ્યાસક્રમ શરૂ થશે.
     ઈશ્વરિયા ગામની રજુઆત સંદર્ભે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ માધ્યમિક શિક્ષણ સુવિધા પ્રાપ્ત થઈ છે. ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા શ્રી જયપાલસિંહ ચુડાસમાને ઈશ્વરિયા ગામની શાળા માટે આચાર્યની જવાબદારી સોંપવામાં આવી છે. અહીં આ સત્રથી જ ધોરણ 9 તથા 10નો અભ્યાસક્રમ શરૂ થશે. આથી ગ્રામજનો વાલીઓમાં આનંદ થયો છે.
     ઈશ્વરિયા ગામે સરકારી માધ્યમિક શાળાની ફાળવણી સંદર્ભે પ્રાથમિક શાળા ખાતેની બેઠકમાં વિદ્યાર્થીઓની સંખ્યા તેમજ વર્ગખંડ વગેરેની ચર્ચામાં પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી હસમુખભાઈ પટેલ, ઈશ્વરિયા કેળવણી મંડળના પ્રમુખ શ્રી વિરશંગભાઈ સોલંકી, શ્રી બાબુભાઈ મકવાણા, શ્રી મૂકેશકુમાર પંડિત, શ્રી લાલાભાઈ ગોહિલ તથા શિક્ષકો શ્રી કિશોરભાઈ પટેલ અને શ્રી પ્રકાશભાઈ પંચાલ જોડાયા હતા.