આગામી તા.૧૭ના પોલિયો અભિયાન
ભાવનગર જિલ્લામાં ૦ થી ૫ વર્ષના અંદાજે ૧.૭૬ લાખથી વધુ બાળકોને પોલીયો રસીથી સુરક્ષિત કરાશે
ભાવનગર
ભારત દેશ પોલિયો મુક્ત દેશ બન્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશોમાથી પોલિયો નાબૂદ થયેલ ન હોવાથી તે પોલિયો ફરીથી ફેલાવાની શક્યતા રહેલી છે. જેથી ભારત દેશમાંથી પોલિયો નાબૂદ કરવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાન ચલાવવામા આવે છે. જેમાં સમગ્ર દેશમાં એક જ તારીખે 0 થી 5 વર્ષના તમામ બાળકોને પોલિયો રસી પીવડાવી તેમને પોલિયોથી સુરક્ષિત કરવામાં આવે છે.અભિયાન હેઠળ ચાલુ વર્ષે પણ તા.૧૭/૦૧/૨૦૨૧ના રોજ સમગ્ર દેશ તથા ગુજરાત રાજયમા પોલિયો અભિયાન ચલાવવામા આવનાર છે.
ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે તા.૧૭/૦૧/૨૦૨૧ના પોલિયો અભિયાન દ્વારા ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોની રસીના બે ટીપાં પીવડાવી પોલિયોથી સુરક્ષિત કરવામાં આવનાર છે. આ વર્ષે ભાવનગર ગ્રામ્ય જિલ્લાની વસ્તી ૧૭,૫૫,૦૫૨ છે. જેમાં ૦ થી ૫ વર્ષના બાળકોની અંદાજિત સંખ્યા ૧,૭૬,૧૩૩ છે.જે માટે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાં કુલ ૧,૧૧૫ બુથનુ આયોજન કરવામા આવેલ છે તેમજ કુલ ૨,૧૨૩ ટીમ દ્વારા પ્રથમ દિવસે પોલિયો બૂથ પર અને બીજા તથા ત્રીજા દિવસે ઘર-ઘર મુલાકાત લઈ પોલિયોની રસી પીવાડવામાં આવનાર છે.
ભાવનગર જિલ્લામા 46 ટ્રાન્જીટ પોઈન્ટ રાખવામા આવેલ છે. જેમાં બસ સ્ટેન્ડ અને ખાસ અવર જવર રહેતી હોય તેવા વિસ્તારમા ટ્રાન્જીટ પોઈન્ટ દ્વારા પોલિયો કામગીરી કરવામા આવનાર છે તેમજ મોબાઇલ ટીમ દ્વારા પણ પોલિયો પીવાડવામા આવનાર છે. સમગ્ર કામગીરી પર સુપરવિઝન માટે ૨૬૫ સુપરવાઈઝર નિયુક્ત કરવામા આવેલ છે તેમજ દરેક તાલુકામા લાઇઝન ઓફિસર દ્વારા દેખરેખ રાખી પોલિયો રસીથી કોઈ બાળક વંચિત ન રહે તે રીતે કામગીરી કરવામા આવનાર છે. આ સમગ્ર પોલિયો રાઉન્ડમા અંદાજિત ૧૧,૫૨૨ વેક્સિન વાયલ વપરાશમા લેવામાં આવશે તેમજ લોકોમા જાગૃતિ માટે પોલિયોની જાહેરાત માટે માઇક થકી પ્રચાર કરવામા આવશે.
જિલ્લા અને તાલુકા કક્ષાએ આ અભિયાયનને સફળ બનાવવા માટે બેનર અને પોસ્ટર લગાવી પ્રચાર કરવામા આવનાર છે. જીલ્લામાં પોલિયો અભિયાયને સફળ બનાવવા માટે જિલ્લા કલેક્ટરશ્રી.તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, જિલ્લા આર.સી.એચ. અધિકારીશ્રી તેમજ જિલ્લાના આરોગ્ય શાખાના તમામ અધિકારીશ્રીઓ તથા તમામ આરોગ્ય સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવી પોલિયો કામગીરી અંગેની પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.