જનસંપર્કની આગવી પ્રણાલી વિકસાવતુ સાંજણાસર ગામ
મહામારી વચ્ચે દરરોજ આ ગામને સૂચના આપે છે આધુનિક બુંગીયો
એક સ્થળેથી અપાતી સૂચના ક્ષણભરમા સમગ્ર ગામમા પહોંચી જાય તેવું આયોજન
ભાવનગર
કાલથી ગામમા સરકાર દ્વારા અનાજ વિતરણ થવાનું છે. જેથી સર્વ ગ્રામજનોને વિનંતી કે જેમના રાશનકાર્ડ નંબરનો છેલ્લો અંક ઝીરો અથવા એક છે તેમણે કાલે મોં પર માસ્ક પહેરી સવારે ૧૦ થી ૫ વાગ્યા સુધીમાં અનાજની દુકાન પર આવવું. સર્વ ખેડૂત ભાઈઓને જણાવવાનું કે પી.જી.વી.સી.એલ. દ્વારા કાલ રાત્રે ૯ થી ૧ વાગ્યા સુધી વીજકાપ જાહેર કરવામા આવેલ છે. જેથી રાત્રે પાણી વાળવા જતા ખેડૂતે આ બાબત ધ્યાને લેવી. સર્વ માલધારી મિત્રોને જણાવવાનું કે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ નીચાણવાળો વિસ્તાર પ્રતિબંધ જાહેર કરાયો છે જેથી ત્યાં પોતાના ઢોર ચરાવવા જવું નહીં. અરે આવી તો કંઈક કેટલીએ લોકોપયોગી સૂચનાઓ આપે છે. પાલીતાણાના સાંજણાસરનો ગ્રામજનોએ વિકસાવેલ અદભુત બુંગીયો.
પાલીતાણાના સાંજણાસર ગામે સુચનાના આદાન-પ્રદાનની તેમજ જનસંપર્કની જે વ્યવસ્થા ઊભી કરાઇ છે તે ભારતભરમાં પ્રેરણાદાયી બની શકે જે કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. આ ગામમાં સરકારશ્રી દ્વારા ફાળવાયેલા ૭૦ હજાર તેમજ લોકફાળાના ૪૦ હજાર એમ કુલ ૧.૧૦ હજારના ખર્ચે જનસંપર્કની એક આધુનિક સુવિધા ઉભી કરી છે. ગામના દરેક ચોકમાં ૧૨ જેટલા લાઉડ સ્પીકર લગાવવામાં આવ્યા છે અને ગ્રામ પંચાયત કચેરીએથી માઈક વડે અપાતી લોકોપયોગી સૂચનાઓ જેવી કે કોઈ અગત્યનો સંદેશો આ ૧૨ સ્પીકર મારફત એક સાથે એક જ ક્ષણે ગામના તમામ લોકો સુધી પહોંચી જાય છે.
આજે આધુનિક શહેરો તેમજ સોસાયટીઓમા વસતા લોકો વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે જેવા સોશિયલ મીડિયાના માધ્યમ થકી સરળતાથી સંદેશ તેમજ સૂચનાઓ પ્રાપ્ત કરી શકે છે ત્યારે સાંજણાસર ગામના લોકોએ વિકસાવેલી આ વ્યવસ્થા અબાલ-વૃદ્ધ, સાક્ષર-નિરક્ષક કોઈને તેમના ઘર સુધી સૂચના આપવાનું કાર્ય કરી સુગ્રથિત કરવાનું કામ કરે છે.
આ વ્યવસ્થાથી લાભાન્વિત થયેલ ગ્રામજનોના અભિપ્રાયો
આ ગામના ગં.સ્વ. રામુબહેન જણાવે છે કે લાઉડ સ્પીકર દ્વારા પંચાયત કચેરીએથી સરકારશ્રી દ્વારા વિધવા સહાયના રૂ. ૧,૨૫૦ તેમજ જન ધન ખાતામા રૂ. ૫૦૦ જમા કરવામા આવનાર છે. જરૂરી ડોક્યુમેન્ટનુ લિસ્ટ પણ જણાવવામાં આવ્યું અને આજે આ વ્યવસ્થાના કારણે મને સરકારશ્રી દ્વારા મળતા લાભો સરળતાથી ઉપલબ્ધ બન્યા.
ગામના ખેડૂત શ્રી બાલુભાઈ હાદાભાઈ જણાવે છે કે ઘણી વખત ખેતરમા પાણી વાળવા જઈએ ત્યારે વીજ કાંપના કારણે મોટર બંધ રહેવાના કારણે અમારે અકારણ ધક્કો થતો. પરંતુ હવે વીજકાપની જાણ લાઉડ સ્પીકર દ્વારા અગાઉથી જ કરી લેવામાં આવે છે જેથી અમારે સમય બચે છે. આ સિવાય ડેમ સાઈટ પરથી કાંપ મેળવવા માટેની સુચના પણ મળે છે. જેથી અમે અમારા ટ્રેક્ટર મારફત નિયત સમયમર્યાદામા કાંપ લાવી શકીએ છીએ. જેથી અમને ખેતીમાં પણ ખુબ સારો ફાયદો થાય છે.
ગામના માલધારી બીજલભાઇ બોડિયા જણાવે છે કે અગાઉ અમારા પશુઓને રોગ થતાં તો અમારે ખાનગી ડોક્ટરો પાસે ખૂબ ખર્ચ વેઠવો પડતો પરંતુ હવે આ લાઉડ સ્પીકરની વ્યવસ્થાથી સરકારી પશુ કેમ્પ તેમજ પશુ રસીકરણની અમને આગોતરી જાણ થાય છે. જેથી અમારા પશુઓમાં મરણનું પ્રમાણ ઘટયું છે તેમજ અમારી આર્થિક બચત પણ થઇ છે.
ગામના વેપારી વિષ્ણુભાઈ વ્યાસ જણાવે છે કે સરકાર તેમજ કલેકટર સહિતના કોરોના અંગેના જાહેરનામાથી અમને અવગત કરાવાય છે જેથી અમારે દુકાનો ક્યારે ખોલવી અને ક્યારે બંધ કરવી તેમજ કેવા પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવું કે ન કરવું વગેરેની સરળ સમજ મળતી થઇ છે.
વિદ્યાર્થીના વાલી કુરજીભાઈ પરમાર તથા રાજુભાઇ બોડીયા જણાવે છે કે અમારા સંતાનો માટે બેંકમાં શિષ્યવૃત્તિ માટેના ખાતા ખોલાવવા, ઓનલાઇન પરીક્ષા તેમજ હોમવર્કની સૂચના તેમજ પુસ્તક વિતરણ વગેરે જેવી શૈક્ષણિક સૂચનાઓ મળી રહેતા અમને ઘણી રાહત થઇ છે અને અમે નિશ્ચિંત બન્યા છીએ.
આ અંગે ગામના સરપંચ શ્રી વિક્રમભાઈ બરાળ તથા ગામની શાળાના ઉપાચાર્ય શ્રી પ્રવીણભાઈ ગોહિલ જણાવે છે કે ગ્રામજનોએ પોતાના કોઠાસૂઝથી ઉભી કરેલ આ વ્યવસ્થા અને ગ્રામજનો માટે આજે “સર્વ જન હિતાય સર્વજન સુખાય” સાબિત થઇ રહી છે. વ્યવસ્થામા જ્યાં-જ્યાં જરૂર પડી ત્યાં મદદરૂપ થવા તેમજ માર્ગદર્શન આપવા બદલ તેઓએ જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરૂણકુમાર બરનવાલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ લેખન - વિરેન્દ્રસિંહ પરમાર
( જિલ્લા માહિતી કચેરી, ભાવનગર)