શ્રમિકોની દરકાર ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર

મનરેગા હેઠળ કામ કરતાં શ્રમિકોની વિશેષ દરકાર લેતું ભાવનગર જિલ્લા આરોગ્ય તંત્ર

હેલ્થ સ્ક્રિનિંગ સાથે પ્રાથમિક ઉપચાર ઉપલબ્ધ 

ભાવનગર

શ્રમિકોને રોજગારી આપવા કેન્દ્ર સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ લોકડાઉન-૪માં પૂરતી તકેદારી સાથે મનરેગા યોજના હેઠળ વિવિધ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. ઉનાળાની ઋતુમાં ખુલ્લામાં કામ કરી રહેલા આ શ્રમિકોના સ્વાસ્થ્યની દરકાર કરતાં આરોગ્ય વિભાગ દ્વારા તેમના હેલ્થ સ્ક્રિનિંગ સાથે પ્રાથમિક ઉપચાર પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રણમાં રાખવા સમગ્ર દેશની સાથે રાજ્યભરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ તથા સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ નાના વેપારીઓ, વ્યવસાયકારો અને શ્રમિકોને રોજગારી મળી રહે તે માટે જરૂરી તકેદારી અને છૂટછાટ સાથે ધંધા-રોજગાર માટે મંજૂરી આપવામાં આવી. જે અન્વયે જિલ્લામાં વિવિધ સ્થળોએ વિકાસકાર્યો આગળ ધપાવવા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી આપવામાં આવી.

આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વાયરસ મહામારીને નાથવા લોકડાઉનના સમયમાં કરવામાં આવેલી સઘન કામગીરીની સાથે સાથે જિલ્લામા શ્રમિકોના સ્વાસ્થ્યની દરકાર કરી પ્રોએક્ટીવ કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લાના વિવિધ સ્થળોએ કામ કરી રહેલા શ્રમિકોનું આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હેલ્થ સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભાવનગર જિલ્લાના વિવિધ સ્થળોએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઑફિસરશ્રી, મલ્ટી પરપઝ હેલ્થ વર્કરશ્રી, ફિમેલ હેલ્થ વર્કર તથા આશા વર્કરની ટીમ દ્વારા મનરેગા હેઠળ કામ કરી રહેલા શ્રમિકોની આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. સાથે જ શ્રમિકોને થયેલી નાની-મોટી ઈજાઓની સારવાર પણ કરવામાં આવી. સાથે સાથે દરેક શ્રમિકને હેન્ડ સેનેટાઈઝર, સાબુ તથા હોમિયોપેથીક ગોળીઓનુ પણ વિતરણ કરવામાં આવી રહ્યુ છે.

ખુલ્લી જગ્યામાં કામ કરતાં શ્રમિકોને ઉનાળાની ઋતુમાં ડિહાઈડ્રેશન ન થઈ જાય તે વાતને ધ્યાનમાં રાખી ગ્લુકોઝ તથા ઓ.આર.એસ.ના પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું છે. કામના સ્થળ પર ગ્લુકોઝ તથા ઓ.આર.એસ.ની સાથે સાથે પ્રાથમિક સારવાર માટેની સામગ્રી અને જરૂરી દવાઓ પણ પુરી પાડવામા આવી રહી છે.

આ અંગે વિગતો આપતા જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી એ.કે.તાવીયાડે જણાવ્યુ હતુ કે ગરમીનો પારો દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે ડિહાઈડ્રેશનના કારણે શ્રમિકોને ચક્કર આવે તો પડી જવાથી ઈજા થવાનું જોખમ રહેલું છે. માટે ખુલ્લામાં કામ કરી રહેલા શ્રમિકોના શરીરમાં પાણીની માત્રા ઘટી ન જાય તે જરૂરી હોઈ હેલ્થ સ્ક્રિનિંગ સમયે ગ્લુકોઝ તથા ઓ.આર.એસ.ના પેકેટ્સનું વિતરણ પણ કર્યું છે.

જિલ્લામાં મનરેગા યોજના હેઠળ ૮૩,૨૧૩ જેટલા શ્રમિકો કામ કરી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સમયાંતરે શ્રમિકોના આરોગ્યની પ્રાથમિક તપાસણી કરવામાં આવે છે. સાથે સાથે શ્રમિકોને ફેસ માસ્ક પહેરવા, વારંવાર સાબુથી હાથ ધોવા તથા સામાજીક અંતર જાળવવા સમજ પણ આપવામાં આવી રહી છે. કોરોના વાયરસ મહામારીને નાથવા રાત-દિવસ કામ કરી રહેલા આરોગ્ય વિભાગ દ્વારા શ્રમિકોની પણ દરકાર કરી ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.