સેંજળધામ ધ્યાનસ્વામીબાપા સન્માન

આધિ, વ્યાધિ અને ઉપાધિ મૂકે એ જ સાધુની સમાધિ 

- શ્રી મોરારિબાપુ

સેંજળધામ ખાતે શ્રી આણંદાબાવા સંસ્થા અને શ્રી વિસામણબાપુ જગ્યાને પૂજ્ય ધ્યાનસ્વામીબાપા સન્માન અર્પણ

ઈશ્વરિયા ગુરુવાર તા.17-02-2022
સેંજળધામ ખાતે ગઈકાલે દેહાણ્ય જગ્યાના સંતો મહંતોની ઉપસ્થિતિમાં પૂજ્ય ધ્યાનસ્વામીબાપા સન્માન પદક અર્પણ કરતી વેળાએ શ્રી મોરારિબાપુએ કહ્યું કે, આધિ, વ્યાધિ અને ઉપાધિ મૂકે એ જ સાધુની સમાધિ છે.
કોરોના બિમારી સંદર્ભે ગયા વર્ષે બાકી રહેલ તથા આ વર્ષનું મળી બે સન્માન અર્પણ કરાયા જેમાં જામનગરની શ્રી આણંદાબાવા સેવા સંસ્થા અને પાળિયાદની શ્રી વિસામણબાપુની જગ્યાનો સમાવેશ થાય છે, જે અનુક્રમે શ્રી દેવપ્રસાદજી મહારાજ અને શ્રી ઉમાબાને શ્રી મોરારિબાપુ તથા ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયેલ.
આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ પોતાના પરંપરા ઉલ્લેખ સાથે આ સ્થાન અને ઉપક્રમના અહોભાવ સાથે માર્ગી સાધુને સતત વિચરણ કરાવનાર ગણાવી આમ તો પૂરો સંસાર માર્ગી જ હોવાની વાત કરી. આધિ, વ્યાધિ અને ઉપાધિ મૂકે એ જ સાધુની સમાધિ એમ જણાવી યોગની અષ્ટાંગ પ્રક્રિયા થોડી અઘરી હોઈ આપણી દેહાણ્ય પરંપરાના સાધુ સંતોએ ધીરજ અને ભરોસા સાથે કરેલા સેવા કાર્યોનો રાજીપો વ્યક્ત કર્યો.  તેઓએ વર્તમાનમાં આ જગ્યાઓના અષ્ટાંગયોગને અલગ વ્યાખ્યા ભાવ સાથે રજૂ કર્યો. 
શ્રી મોરારિબાપુએ પોતે હેત માટે જ અહેતુ ઉપક્રમ યોજયાનું અને પોતાના નિત્ય યજ્ઞમાં આ જગ્યાઓ માટે પણ આહુતિ આપતા હોવાનું જણાવ્યું.
આ સન્માન કાર્યક્રમમાં શ્રી વલકુબાપુએ આપણી જગ્યામાં વેદ કરતા સંવેદના વધુ હતી એટલે અન્નક્ષેત્રને સ્થાન અપાયું તેમ જણાવી શ્રી મોરારિબાપુ પણ આવા સ્થાનો માટે ઉર્ઝા આપતા રહ્યાનો રાજીપો વ્યક્ત કર્યો.
શ્રી દુર્ગાદાસબાપુએ રામકથાના માધ્યમથી થયેલા ધર્મ સંસ્કાર કાર્ય માટે શ્રી મોરારિબાપુ પ્રત્યે ભાવ વ્યક્ત કરી ખરા ધર્મ કાર્ય માટે વાત કરી.
શ્રી હરિષચંદ્રભાઈ જોષીના સંકલન સંચાલન સાથેના આ સન્માન કાર્યક્રમમાં બાળકોના હસ્તે દીપપ્રાગટય કરાયું હતું.
સેંજળધામના આ વંદના રૂપી સન્માન સમારોહમાં શ્રી વિજયબાપુ, શ્રી લલિતકિશોરબાપુ, શ્રી ભઈલુબાપુની પ્રેરક ઉપસ્થિતિ સાથે કોરોના બિમારી માર્ગદર્શિકા સાથેના આ આયોજનમાં સંતો, મહંતો, મહાનુભાવો જોડાયા હતા.