દેશના દરિયાઇ રાજયો માટે ઘોઘા-દહેજ ફેરી
વિકાસનું ઉત્તમ ઉદાહરણ - પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી
ભાવનગર
:ભારતના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિપીંગ ઇન્ડસ્ટ્રીઝમાં સ્થાનિક યુવાઓને રોજગાર મળે તે માટે પ્રશિક્ષિત અને કૌશલ્યવર્ધન માટે ગુજરાતમાં મેરી ટાઇમ યુનિવર્સીટી અને લોથલ ખાતે મેરી ટાઇમ મ્યુઝીયમ સ્થાપવાની જાહેરાત કરી હતી.
ઘોઘા-દહેજ ફેરી સર્વિસના રૂા.૬૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ પ્રોજેકટનું લોકાર્પણ કરતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે દેશના દરિયાઇ રાજયો માટે આ પ્રોજેકટ દરિયાઇ વિકાસનું ઉત્તમ ઉદાહરણ છે અનેકોસ્ટલ પ્રવાસનો નવો અધ્યાય શરૂ થયો છે. ભાવનગરની ધરતી પર આવીને આ મહત્વકાંક્ષી પ્રોજેકટ સમગ્ર હિન્દુસ્તાનને નવી વિકાસની દિશા આપશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી આ અનેરો ઉપહાર દેશની જનતાને મળ્યો છે. દક્ષિણ અને પૂર્વ એશિયાનો આ સૌથી મોટો પ્રોજેકટ આધુનિક ટેકનોલોજીથી પૂર્ણ થતા સાડા છ કરોડ ગુજરાતીઓનું સ્વપ્ન પૂર્ણ થયું છે.
વડાપ્રધાનશ્રીએ પોતાના બાળપણના શાળાના દિવસો યાદ કરીને જણાવ્યું હતું કે ઘોઘા-દહેજ ફેરી સર્વિસ પ્રોજેકટ માટે અગાઉની સરકારો અને ભાવનગરના નેતાઓ આવીને ગયા પણ સારા કાર્યો મારા નસીબમાં લખાયેલા છે. ગુજરાતના નાના મોટા બંદરો પરથી દેશના કાર્ગોના ૩૨ ટકા કાર્ગો વહન થાય છે. આ ફેરી સર્વિસ અન્ય રાજયો માટે પણ મોડેલ બનશે અને આર્થિક સમૃદ્ધિની નવી દિશાઓ ખુલશે.
“લંકાની લાડીને ઘોઘાનો વર”પ્રચલિત કહેવતને યાદ કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે ઘોઘાની વર્ષો પહેલા કેવી જાહોજલાલી હશે. ઘોઘા-દહેજ ફેરી સર્વિસથી ઉદ્યોગોને બળ મળશે, રોજગારીની વિપુલ તકો વધશે અને પ્રવાસન ઉદ્યોગને નવી દિશા મળશે. પરિણામે સૌરાષ્ટ્ર-કચ્છના લાખો લોકોનું જીવન બદલી નાખશે. માનવીની મૂલ્યવાન ચીજ સમય છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ૧૨ હજાર લોકો દરરોજ પ્રવાસ કરે છે. પાંચ હજારથી વધુ વાહનો આ માર્ગો પર દોડે છે. ૩૬૦ કિ.મી.નો માર્ગ ૩૧ કિ.મી.ના દરિયાઇ માર્ગમાં ફેરવાતા સમય, નાણાંનો બચાવ થશે અને ટ્રાફીકની સમસ્યા હલ થશે. અને અર્થતંત્ર વધુ મજબૂત બનશે. અગાઉની સરકારોએ ટર્મિનલ બનાવવાની, માળખાકીય સુવિધાઓ અને ડ્રેજીંગની કામગીરીનો ખર્ચ નહીં ઉપાડતા આ યોજના ખોરંભે પડી હતી. વર્ષ ૨૦૧૨ માં મેં શિલાન્યાસ કર્યો હતો પરંતુ દરિયામાં કામ કરવા ભારત સરકારની પર્યાવરણીય મંજૂરીઓ નહીં મળતા અવરોધો ઉભા થયા હતા.પરંતુ સમુદ્રમંથનમાંથી જ અમૃત મળે છે.
વીર મોખડાજીને યાદ કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક યુવાધનને તૈયાર કરીને કોસ્ટલ સોશિયલ સિકયુરીટી ક્ષેત્રે રોજગારીની નવી વિપુલ તકોનું નિર્માણ થશે. જાપાને અલંગ શીપ બ્રેકીંગ યાર્ડના આધુનિક અને મોર્ડનાઇઝેશન માટે તત્પરતા દાખવી છે. ભાવનગર શીપ રી સાયકલીંગ યાર્ડમાં ૨૫ હજાર લોકો રોજગારી મેળવશે. અલંગ યાર્ડની ક્ષમતા વધશે પરિણામે મહુવા, પીપાવાવ, જાફરાબાદના રસ્તાઓનું વિસ્તરણ કરાશે. ધોલેરા SIR વિશ્વનું સૌથી મોટું ઔદ્યોગિક કેન્દ્ર બનશે. ધોલેરાના વિકાસમાં આ ફેરી સર્વિસ હજીરા, પીપાવાવ, જાફરાબાદ, દમણ-દીવ સાથે જોડીને આગળ વધીશું.
ભારતના સમૃદ્ધિના પ્રવેશદ્વાર બંદરો છે તેનો ઉલ્લેખ કરી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે બંદર સેકટરના વિકાસ માટે “સાગરમાલા કાર્યક્રમ”અમલી બનાવીને બંદરોનું આધુનિકરણ અને કોસ્ટલ ટ્રાન્સપોર્ટનો વિકાસ કરીને છેલ્લા ત્રણ વર્ષમાં પોર્ટ સેકટરમાં આમુલ પરિવર્તન કર્યુ છે. કોસ્ટલ સર્વિસથી જોડાયેલા ધંધા રોજગારમાં સ્કીલ ડેવલપમેન્ટ દ્વારા એક કરોડ રોજગારીની તકોનું નિર્માણ કરવાની પુરી સંભાવના છે. માછીમારો માટે બ્લ્યુ રીવોલ્યુશન દ્વારા અદ્યતન સુવિધા સાથેની બોટો મળે તે માટે કેન્દ્ર સરકાર આ યોજના હેઠળ માછીમારોને રૂા.૪૦ લાખની સબસીડી મળશે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી ૫૦ દિવ્યાંગ બાળકો સાથે પોતાના ખાસ મહેમાન ગણીને ઘોઘાથી દહેજ રો-રો ફેરી સર્વિસની મુસાફરી કરી હતી.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સર્વોત્તમ ડેરીના રૂા.૬.૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ પશુ કેટલ ફીડ પ્લાન્ટનું ઉદઘાટન કર્યુ હતું. ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ડેરી ઉદ્યોગનો વિકાસ થાય તે માટે ઉત્તમ પ્રકારનો પશુ આહાર અને વૈજ્ઞાનિક ઢબે માવજત થાય અને વધુ દૂધ ઉત્પાદન દ્વારા પશુપાલકોની આવકમાં વધારો કરવાના પ્રયાસરૂપે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ સર્વોત્તમ ડેરીના સંચાલકોને અભિનંદન આપ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસ એ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અંતર ઘટાડવા સાથે સમૃદ્ધિનો નવો અધ્યાય રચશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.તેમણે હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇએ ગુજરાતના તેમના મુખ્યમંત્રીપદના કાર્યકાળ દરમ્યાન સેવેલું સપનું ભાજપાની આ સરકારે સાકાર કર્યુ તેની ખૂશી વ્યકત કરી હતી. શ્રી વિજયભાઇએ જણાવ્યું હતું કે, વરસોથી દરિયા કિનારાના મોજાઓ વિકાસની રાહ જોતા હતા, તે હવે વિકાસની ભરતીમાં પરિવર્તીત થશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ ફેરી સર્વિસને પરિણામે માર્ગ પરનું ભારણ ઘટશે, પર્યાવરણની રક્ષા અને ઇંધણની બચત થશે. તેમણે જાહેર કર્યુ કે, આ પ્રથમ તબક્કે પેસેન્જર ફેરી સર્વિસનો પ્રારંભ થાય છે, તેને વિસ્તારીને આગામી દિવસોમાં વાહતુક સર્વિસ પણ શરૂ કરાશે.મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, વડા પ્રધાનશ્રીએ ગુજરાતને વૈશ્વિક કક્ષાની શ્રેષ્ઠતમ સુવિધાઓ આપતા અનેકાનેક પ્રકલ્પો ગિફટસીટી, બૂલેટ ટ્રેન, સાયન્સ સિટી, મેટ્રોરેલની ભેટ આપી છે અને ગુજરાત વિકાસનું વિશ્વ મોડેલ બને તે માટે તેઓ સંકલ્પબદ્ધ છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યુ કે, વિશ્વ પ્રવાસન હોય કે ઔદ્યોગિક ગતિ પ્રગતિ ગુજરાત નંબર વન બને એ પરંપરા પ્રધાન મંત્રીએ આપી છે, તેને આ સરકાર જાળવી રાખશે.તેમણે કૃષિ ઉત્પાદન દૂધ ઉત્પાદન, રોજગારી, ઔદ્યોગિક વિકાસ, એફ.ડી.આઈ.માં ગુજરાત નંબર વન રહ્યુ છે અને સમાજ સેવાલક્ષી અભિયાનોમાં પણ પ્રથમ ક્રમે રહેલું છે તેની ગૌરવ સિદ્ધિ વર્ણવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસને સોળેકળાએ ખિલવવા સૌના સાથ સૌના વિકાસથી આગળ વધવાની સંકલ્પબદ્ધતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતુ કે, ઘોઘા – દહેજ રો રો ફેરી સેવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન સાકાર થયું છે. ભારતના સૌથી લાંબા અંતરની આ રો-રો ફેરી સર્વિસથી સમય, ખર્ચ ઘટશે. મુસાફરોની સાથો સાથ માલ વાહક વાહનોની હેરા ફેરી ફેઝ-ર દ્વારા ટૂંક સમયમાં શરૂ થશે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૪૦ વર્ષ જુના કાળીયાબીડની મિલકતો કાયદેસર કરવાની જાહેરાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે, આ વિસ્તારના ૧૫ હજાર લોકોની મિલકતો કાયદેસર કરવાનો રાજય સરકારે નિર્ણય લીધો છે. શાસ્ત્રીનગરથી દેસાઇનગર ઓવરબ્રીજને મંજૂરી આપી દીધી છે. જેથી ભાવનગર શહેરની ટ્રાફીક સમસ્યાનું નિવારણ આવશે. સૌની યોજના દ્વારા શેત્રુંજય અને ખોડીયારની જેમ બોર તળાવ નર્મદાના નીરથી ભરવાની સાથે માઢિયા જી.આઈ.ડી.સી.ની મંજુરીની જાહેરાત પણ કરી હતી.
કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર માટે અનેરો પ્રસંગ છે. પ્રધાનમંત્રીશ્રીના અનેક નિર્ણયોથી સૌરાષ્ટ્રને વિકાસની ઘણી યોજનાઓનો લાભ મળ્યો છે. નર્મદાનું પાણી, રોજગારી, વિજળી સહિત અનેક કાયમી સમસ્યાઓ હલ થઇ છે. આ રો-રો ફેરી સર્વિસથી સુરત અને દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં કામ કરતા સૌરાષ્ટ્રવાસીઓ માટે વિકાસના દ્વાર ખૂલી રહ્યા છે.
આ પ્રસંગે શીપ રીસાઇકલીંગ એસોસીએશન દ્વારા વડાપ્રધાનશ્રીને ગંગા નદી શુદ્ધિકરણ માટે રૂપિયા ૧.૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતીનભાઇ પટેલ, મંત્રીશ્રી સર્વશ્રી આત્મારામભાઈ પરમાર, જસાભાઇ બારડ, જયેશભાઈ રાદડીયા, ચીમનભાઈ સાપરીયા, વી.વી.વઘાસીયા, સંસદીય સચીવશ્રી વિભાવરીબેન દવે, સહિતના મંત્રીમંડળના સદસ્યો, સાંસદશ્રી ભારતીબેન શીયાળ, પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઇ વાઘાણી, ધારાસભ્યશ્રીઓ,કલેકટરશ્રી હર્ષદ પટેલ, ઉપાધ્યક્ષ અને મુખ્યકારોબારી અધિકારી (ગુજરાત મેરી ટાઇમ બાોર્ડ) શ્રી અજય ભાદુ, આગેવાનો, અધિકારી, પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રઘાનશ્રી સાથે ૫૦ દિવ્યાંગ બાળકોએ રો રો ફેરી પ્રવાસનો આનંદ માણ્યો
વડાપ્રઘાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ઘોઘા-દહેજ ફેરી સર્વિસનો ઘોઘા-ભાવનગરથી પ્રારંભ કરાવ્યો હતો.
ઘોઘાથી શરૂ કરાયેલી આ પ્રથમ સેવામાં સ્વયં તેઓએ પ્રવાસ કરી દહેજ પહોચ્યા હતા. તેમની સાથે ૫૦ જેટલા દિવ્યાંગ બાળકોએ પણ ફેરીના પ્રવાસનો આનંદ માણ્યો હતો.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત વચ્ચેનુ અંતર અને મુસાફરીનો સમય ઘટાડવા ઉપરાંત રાજય ઘોરી માર્ગ પરનો ટ્રાફીક હળવો કરવાના આશયથી શરૂ કરાયેલી આ સેવા થી બે સ્થળ વચ્ચેનુ અંતર ૩૬૦ કી.મી થી પણ ઘટીને ૩૧ કી.મી તથા માર્ગ પ્રવાસમાં લાગતો ૮ કલાકનો સમય ઘટીને માત્ર દોઢ કલાકનો થઇ જશે.
વડાપ્રઘાનશ્રીએ જેટી ખાતે પુજન કરી આ સેવાનો પ્રારંભ કરાવીને સ્વયં પ્રવાસ કરીને દહેજ પહોચ્યા હતા. તેમની સાથે ભાવનગર કે એલ ઇન્સટીટયુટ, કે કે અંઘ ઉઘોગ શાળા તથા અંકુર શાળાના ૫૦ દિવ્યાંગ બાળકોએ પણ વડાપ્રઘાનશ્રી સાથે ફેરી પ્રવાસનો આનંદ માણ્યો હતો. દિવ્યાંગ બાળકોએ પણ આ પ્રવાસના પગલે પોતાની ખુશી વ્યકત કરી હતી.
વડાપ્રઘાનશ્રી જયારે જે.ટી ખાતે આવી પહોચ્યા ત્યારે ગુજરાતના અનેક કલા મંડળોએ તેમનુ નૃત્ય-રાસ-ગરબા-ઢોલ નગારા વાદન સાથે સ્વાગત કર્યુ હતુ.
વડાપ્રઘાનશ્રી સાથે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા, મંત્રીશ્રી જશાભાઇ બારડ, ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઇ વાઘાણી પણ પ્રવાસમાં જોડાયા હતા.