ગુજરાતમાં ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ યોજાશે

ગુજરાતમાં ૧૭ થી ર૩ સપ્ટેમ્બર ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સ યોજાશે

બુદ્ધિસ્ટ પૂરાતત્વીય વિરાસત દેવનીમોરીને સાંકળી લેતી

બુદ્ધિસ્ટ ટૂરિઝમ સરકીટ ગુજરાતમાં શરૂ કરવાની ભૂમિકા આપતા મુખ્યમંત્રીશ્રી

ગાંધીનગર

       મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઇન્ટરનેશનલ બુદ્ધિસ્ટ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા ૩૦ જેટલા બુદ્ધિસ્ટ મોન્કસ-સંતોએ ગાંધીનગરમાં મૂલાકાત લીધી હતી.

       આગામી તા.૧૭ સપ્ટેમ્બરથી ર૩ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં આ કોન્ફરન્સનું આયોજન થયું છે.

મુખ્યમંત્રીશ્રીને મળીને આ બુદ્ધિસ્ટ મોન્કસે ગુજરાત સરકારે બુદ્ધિસ્ટ કોન્ફરન્સ યોજવા માટે આપેલા સહયોગ અંગે આભાર વ્યકત કરવા સાથે મુખ્યમંત્રીશ્રીનું સન્માન કર્યુ હતું.

       શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતમાં બુદ્ધ વિરાસતના પૂરાતત્વીય સ્થાન દેવનીમોરીને જોડતી બુદ્ધિસ્ટ ટૂરિઝમ સરકીટ રાજ્ય સરકાર શરૂ કરવાની છે તેની ભૂમિકા આપી હતી.

       મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ગૌતમ બુદ્ધે વિશ્વને શાંતિ-પ્રેમનો જે સંદેશ આપ્યો છે, આત્માના ઉત્થાન માટેનો જે માર્ગ અપનાવ્યો છે તેને વિશ્વ આખાએ અનુસરવો એ સમયની માંગ છે.

       તેમણે બુધ્ધ અને મહાવીર જેવા પ્રતિષ્ઠિત, આધ્યાત્મિક આત્માઓનું સાક્ષી ગુજરાત બન્યું છે તે માટે ગૌરવ વ્યકત કરતાં બુદ્ધ, હિન્દુ સૌ સાથે મળીને સ્પીરીચ્યુઆલિટીના માર્ગે જ શાંતિ-વિકાસ અપનાવી શકાશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.

       મુખ્યમંત્રીશ્રીએ મ્યાનમાર અને રંગૂનથી પણ આ કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા બુદ્ધિસ્ટ મોન્કસ સાથે તેમના રંગૂનના સંસ્મરણો તાજા કર્યા હતા.

       આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્રસચિવશ્રી કૈલાસનાથન, અગ્રસચિવશ્રી એમ. કે. દાસ અને સચિવશ્રી અશ્વિનીકુમાર ઉપસ્થિત રહ્યા હતા.