રાજયની વિકાસયાત્રા જનહિતના કામોને પ્રાધાન્ય

કોરોનાની મહામારી અંતર્ગત રાજયની વિકાસયાત્રા અવિરત રહે એ માટે જનહિતના કામોને પ્રાધાન્ય - નાયબ મુખ્યમંત્રી શ્રી  પટેલ

સરખેજ ગાંધીનગર સિક્સલેન હાઈ વે, રાજકોટ અમદાવાદ સિક્સ લેન હાઈ વે, તારાપુર વાંસદ સિક્સ લેન હાઈ વે સહિતના પ્રોજેક્ટ પુન: શરૂ - કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે નવનિર્મિત વિશ્રામગૃહનું ઈ લોકાર્પણ - રસ્તાના કામોના ઈ ભૂમિપૂજન - કચ્છ જિલ્લાના નર્મદાના પાણી માટે આ વર્ષે રૂ. ૧,૦૦૦ કરોડનું બજેટ ફાળવાયુ

ગાંધીનગર

નાયબ મુખ્યમંત્રીશ્રી અને માર્ગ-મકાન મંત્રી શ્રી નિતીનભાઈ પટેલે જણાવ્યું છે કે, કોરોનાની વૈશ્વિક મહામારી અંતર્ગત પણ જનહિતના કામોને પ્રાધાન્ય આપીને રાજયની વિકાસયાત્રાને આગળ વધારવી એ અમારો નિર્ધાર છે. તેમણે કહ્યુ કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિકાસકામો રાબેતા મુજબ શરૂ થાય એ માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને યોગ્ય કરવા સબંધિતોને સૂચનાઓ પણ આપી દીધી છે. જે કામો પૂર્ણ થયા છે અને નવા કામો શરૂ કરવાના છે એ માટે ઈ-લોકાર્પણ, ઈ-ભૂમિપૂજન/ખાતમુહૂર્તનો નવતર અભિગમ દાખવ્યો છે. જેના પરિણામે લોકોને એકત્ર ન કરવા પડે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય અને કોરોનાનુ સંક્રમણ ફેલાતુ અટકે.

રાજ્યના માર્ગ અને મકાન વિભાગને દર વર્ષે રૂ. ૯,૦૦૦ કરોડથી વધુ રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. જેના થકી રોડને પહોળા કરવા, નવા રસ્તાઓના બાંધકામ, અંડરબ્રિજ-ઓવરબ્રિજ સહિતના અનેક વિકાસ કામો રાજ્યભરમાં હાથ ધરવામાં આવે છે. રાજયના ખમીરવંતા સરહદી જિલ્લા એવા કચ્છના વિકાસ માટે રાજ્ય સરકાર સવિશેષ મહત્વ આપી રહ્યું છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ દ્વારા ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમ થકી માર્ગ અને મકાન વિભાગના વિવિધ વિકાસના કામોનું ઈ-ભૂમિપૂજન તેમજ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

કોરોના મહામારીના આ સમયગાળામાં ૧૦ લાખથી વધુ શ્રમિકો-કારીગરો પોતાના વતન રાજ્યમાં પહોંચી ગયા છે. આ સ્થિતિમાં પણ શ્રમિકો-કારીગરોની વ્યવસ્થા ગોઠવી રાજ્યના વિવિધ વિકાસ કામો શરૂ કરી દેવામાં આવ્યા છે જેમાં મહત્વના પ્રોજેક્ટ એવા ૯૦૦ થી ૧૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થનાર સરખેજ-ગાંધીનગર સિક્સલેન હાઈ-વે, રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈ-વે, તારાપુર-વાસદ સિક્સ લેન હાઈ-વે સહિતના વિવિધ મોટા પ્રોજેક્ટ પુન શરૂ કરી દેવાયા છે. એ ઉપરાંત ગત અઠવાડિયે જ દક્ષિણ ગુજરાતના ૮૦૦ કરોડના વિવિધ કામોનું ઈ-લોકાર્પણ તથા ઈ-ભૂમિપૂજનનું પણ કરવામાં આવ્યું હતુ. 

કચ્છ જિલ્લામાં નર્મદાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે તેમ જણાવતા શ્રી પટેલે ઉમેર્યું કે, કચ્છ જિલ્લાના નર્મદાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧,૦૦૦ કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. કચ્છના ખેડૂતોની લાગણી મુજબ નર્મદાનું પાણી ખૂબ જ ટૂંકા સમયમાં કચ્છને મળતુ થશે. લૉકડાઉન થયુ ત્યારથી અત્યારસુધીના સમયગાળામાં આ મુદ્દાને લઈને રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં અનેક બેઠકો કરવામાં આવી છે. પખવાડિયા પહેલા જ આ મુદ્દે રિવ્યુ બેઠક કરાઈ છે. હવે માત્ર સ્થાનિકકક્ષાએ કેટલાંક વિસ્તારની જમીન સંપાદનની કામગીરી બાકી છે તે પણ સ્થાનિક અગ્રણીઓના સહયોગથી પૂર્ણ થવાની તૈયારીમાં છે. એટલે ખેતી તેમજ પીવા માટે કચ્છ જિલ્લાના નાગરિકો અને ખેડૂતોને નર્મદાનું પાણી ખૂબ જ ઝડપથી મળતુ થઈ જશે.

નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં ભુજ સર્કિટ હાઉસ ખાતેથી કચ્છ જિલ્લાના નખત્રાણા ખાતે રૂ. ૨.૭૩ કરોડના ખર્ચે નવનિર્મિત વિશ્રામગૃહનું ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. તે ઉપરાંત રૂ. ૭૧.૭૬ કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ ત્રણ રસ્તાઓના કામોના ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યા હતા જેમાં નખત્રાણા તાલુકાના ભુજ-લખપતના તેમજ દયાપર-સુભાષપર-પાન્ધ્રો રસ્તાની વળાંક સુધારણા અને મજબૂતીકરણ તથા અને નખત્રાણા-નિરોણા-લોરીયા રસ્તાને પહોળો તેમજ મજબુતીકરણ કરવાના કામોનું ઈ-ભૂમિપૂજન કરવામાં આવ્યું હતુ. તે ઉપરાંત ગઢસીસા સામૂહિક આરોગ્ય કેન્દ્રનું પણ ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતુ.

આ પ્રસંગે ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ ખાતે માર્ગ અને મકાન વિભાગના સચિવ શ્રી એસ.બી. વસાવા તેમજ ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. તથા ભૂજ સરકીટ હાઉસ ખાતે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સર્વશ્રી ડૉ. નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા શ્રીમતી માલતીબેન મહેશ્વરી તેમજ સ્થાનિક આગેવાનો અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.