રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજના
રાજ્યના અંદાજે પ૬ લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ - ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ
જાહેર કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી નાયબ મુખ્યમંત્રીશ્રી-કૃષિ મંત્રીશ્રીની ઉપસ્થિતી
ગાંધીનગર
શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના લાખો કિસાનોના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર.સી. ફળદુ, રાજ્યમંત્રી શ્રી જયદ્રથસિંહ પરમાર તેમજ મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં આ યોજનાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએકહ્યું કે ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડૂતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે. આવા કુદરતી આપત્તિના પ્રસંગોએ ખેડૂતોને થતા પાક નુકસાન માટે પારદર્શક અને સરળ પદ્ધતિ જેમાં રાજ્યના બધાજ ખેડૂતોનો સમાવેશ થાય અને નુકસાન થયેલ કોઇ ખેડૂત રહી ન જાય તે ધ્યેય સાથે ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થયેલ પાક નુકશાન સામે ખેડૂતોને સરળતાથી લાભ આપવા અને તમામ પાક અને સમગ્ર રાજ્યના વિસ્તારોને આવરી લે તેવી આ યોજના અમલમાં મૂકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યોછે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે આ યોજનાનો લાભ રાજ્યના નાના મોટા સિમાંત બધાજ ખેડૂતોને આવરી લેવાયા છે. રાજ્યના અંદાજે પ૬ લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહિ આ યોજના માટે ખેડૂતે કોઈ જ પ્રીમિયમ ભરવાનું રહેશે નહિ તેમ પણ તેમણે જણાવ્યું હતું.
આ યોજના સરળ અને પારદર્શી છે તેની ભૂમિકા આપતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે પાક વીમા યોજનામાં જે ખેડૂતોએ પ્રિમીયમ ભર્યુ હોય તેને જ લાભ મળતો હતો, હવે આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં કોઇ પ્રિમીયમ ભર્યા વગર સહાય મળતી થશે. તેમણે જણાવ્યું કે એસ.ડી.આર.એફ.ના લાભો યથાવત રાખીને આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના લાભ અપાશે.
મુખ્યમંત્રીશ્રીએ આ યોજનાની વિસ્તૃત વિગતો પ્રચાર માધ્યમો સમક્ષ આપતા જણાવ્યું કે આ યોજના હેઠળના ત્રણ પ્રકારના જોખમોમાં સહાય આપવાનો અભિગમ છે. તદઅનુસાર (૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ) (ર) અતિવૃષ્ટિ અને (૩) કમોસમી વરસાદ (માવઠું) જોખમોથી થયેલ પાક નુકશાનને સહાય માટે પાત્ર ગણવામાં આવશે.
આ ત્રણેય જોખમો સામે સહાયના ધોરણો અને અન્ય વિગતો તેમણે આપી.
(૧) અનાવૃષ્ટિ (દુષ્કાળ)ના કિસ્સામાં:-
જે તાલુકામાં ચાલુ સિઝનનો ૧૦ ઈંચથી ઓછો વરસાદ પડેલ હોય અથવા રાજયમાં ચોમાસુ શરૂ થાય ત્યાંથી તા. ૩૧ ઓગસ્ટ સુધીના સમયગાળામાં બે વરસાદ વચ્ચે સતત ચાર અઠવાડિયા (૨૮ દિવસ) વરસાદ પડેલ ન હોય એટલે કે સતત શૂન્ય વરસાદ હોય અને ખેતીના વાવેતર થયેલ પાકને નુકશાન થયેલ હોય તેને અનાવૃષ્ટિ (દુષ્કાળ)નું જોખમ ગણવામાં આવશે.
૨. અતિવૃષ્ટિ હોય તેવી સ્થિતીમાં :-
તાલુકાને યુનિટ ગણી અતિવૃષ્ટિના પ્રસંગો જેવા કે વાદળ ફાટવું, સતત ભારે વરસાદ કે જેમાં દક્ષિણ ગુજરાત રિજિયનના જિલ્લાઓ (ભરુચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડ અને ડાંગ) માટે ૪૮ કલાકમાં ૩૫ ઇંચ કે તેથી વધુ અને તે સિવાયના રાજ્યના તમામ જિલ્લાઓમાં ૪૮ કલાકમાં ૨૫ ઇંચ કે તેથી વધુ વરસાદ મહેસુલી તાલુકાના રેઇન ગેજ મુજબ નોંધાયેલ હોય અને ખેતીના વાવેતર કરેલ ઊભા પાકમાં થયેલ નુકશાનને અતિવૃષ્ટિનું જોખમ ગણવામાં આવશે
(૩) કમોસમી વરસાદ (માવઠું)ની સ્થિતી સજાર્ય ત્યારે:-
૧૫ ઓક્ટોબર થી ૧૫ નવેમ્બર સુધીમાં મહેસુલી તાલુકાના રેઇન ગેજમાં સળંગ ૪૮ કલાકમાં ૫૦ મી.મી. થી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને ખેતરમાં નુકસાન થાય તો તે કમોસમી વરસાદ (માવઠું)નું જોખમ ગણવામાં આવશે.
યોજનાના ખેડૂત લાભાર્થીની પાત્રતાઅંગે ની જાણકારી આપતા શ્રી વિજય ભાઈ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર રાજ્યમાં રેવન્યુ રેકોર્ડમાં નોંધાયેલા તમામ ૮-અ ધારક ખેડૂત ખાતેદાર તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ(Forest Right Act) હેઠળના સનદ ધારક ખેડૂત લાભાર્થી ગણાશે
ખરીફ ૨૦૨૦માં યોજના અમલમાં મુકાશે. આ યોજનાના લાભ માટે ખરીફ ઋતુમાં ખેડૂતોએ વાવેતર કરેલ હોવું જોઈશે.
મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના સહાયના ધોરણો અંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે
ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૩૩ % થી ૬૦ % માટે રૂ. ૨૦૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે
ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન ૬૦ % થી વધુ નુકશાન માટે રૂ. ૨૫૦૦૦/- પ્રતિ હેક્ટર માટે વધુમાં વધુ ૪ હેક્ટરની મર્યાદામાં મળવાપાત્ર થશે.
આ યોજનાની અન્ય અગત્યની જોગવાઈઓવિશે મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે...આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.
આ વેળાએ કૃષિ વિભાગના સચિવ શ્રી મનિષ ભારદ્વાજ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.