ભજન જેવું બિનસાંપ્રદાયિક કશું જ નથી : શ્રી મોરારિબાપુ
તલગાજરડા ખાતે યોજાયેલ સંતવાણી પદક સન્માન કાર્યક્રમ
તલગાજરડા મંગળવાર તા.૭
ચિત્રકુટ ધામ - તલગાજરડા ખાતે યોજાયેલ સંતવાણી પદક સન્માન કાર્યક્રમમાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ભજન જેવું બિનસાંપ્રદાયિક કશું જ નથી. રાત્રે અહીં સંતવાણી - ભજનની જમાવટ થઇ હતી.
શ્રી મોરારિબાપુ દ્વારા છેલ્લા દસ વર્ષથી ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય - સંતવાણીના ગાયકો અને વાદકોને સંતવાણી પદક વડે સન્માનવામાં આવે છે. જે સંદર્ભે સોમવારે ચિત્રકુટ ધામ - તલગાજરડા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં સંતવાણીના આદિસર્જક અખો - શ્રી અખાભગતની વંદના કરાઇ હતી. જે સન્માન શ્રી અખિલ હિંદ શ્રીમાળી સોની મહામંડળ પ્રમુખ શ્રી શશિકાંતભાઇ પાટડિયાએ સ્વીકાર્યું હતું. ભજનિક તરીકે શ્રી નિરંજનભાઇ પંડયા, વાદ્ય સંગત તબલા માટે સાધુ શ્રી મૂળદાસ નારણદાસ રાઠોડ, વાદ્ય સંગત બેન્જો માટે શ્રી રાજુભાઇ ધરમશીભાઇ કાવિઠિયા તથા વાદ્ય સંગત મંજીરા માટે શ્રી પુનશીભાઇ ગઢવી સન્માનિત થયા હતા.
સંતવાણી સન્માન કાર્યક્રમમાં શ્રી મોરારિબાપુએ કહ્યું કે, જીવનનો મહિમા કરે તે ભજન બ્રહ્મ છે. ભજન જેવું બિનસાંપ્રદાયિક કશું જ નથી. બ્રહ્મ અને ભજન બંને શૂન્યમાં પણ શૂન્ય છે અને પૂર્ણમાં પણ પૂર્ણ છે. બ્રહ્મના તમામ લક્ષણો ભજનમાં છે તેમ કહી તેઓએ ઉમેર્યું કે, બધી જ વિધાઓમાં ભજનનું મૂળ તત્વ હોવું જોઇએ.
શ્રી મોરારિબાપુએ લાગણી સાથે જણાવ્યું કે, સર્વત્ર વ્યાસપીઠની પૂજા વંદના થતી હોય છે ત્યારે મારા માટે આ સન્માન કરવાનું એ સૌને વંદના કરવાનું બહાનું છે.
બપોરે ભજન વિચાર સંગોષ્ઠીમાં શ્રી દલપત પઢિયારના સંયોજન તળે શ્રી છેલભાઇ વ્યાસ દ્વારા સંતવાણીના સર્જક શ્રી અખા ભગત, શ્રી નિરંજન રાજ્યગુરૂ દ્વારા ભજન સ્વરૂપ વિચાર - ચુંદડી ભજનો અને શ્રી જશુપુરી ગોસ્વામી દ્વારા ગુજરાતી સંત સાહિત્યની પૃષ્ઠભૂમિકા વિષય પર ઉદબોધન વિચારો રજૂ થયેલ.
શ્રી હરિશ્ચંદ્ર જોષીના સંકલન સાથેના આ સંતવાણી કાર્યક્રમમાં રાત્રે સન્માનિત ભજન - આરાધકો તેમજ સુપ્રસિધ્ધ ભજનીક ગાયકો દ્વારા સંતવાણી ભજનની જમાવટ થઇ હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતી ભજન મર્મીઓ, સાધકો, આરાધકો અને સંતવાણી પ્રેમીઓની ઉપસ્થિતિ રહી હતી.