રાજ્યમાં કન્ટેઈનમેન્ટ સિવાયના ઝોનમાં એસ.ટી. બસ સેવા પૂર્વવત
અમદાવાદમાં ગીતા મંદિર મુખ્ય બસ મથકનો ઉપયોગ કરાશે નહીં
નિગમ ધ્વારા તા.૦૧-૦૬-૨૦૨૦ થી જે સંચાલન શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે રાજ્ય સરકાર એ નક્કી કરેલા કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સિવાય સમગ્ર રાજ્યમાં નિગમની બસ સેવાઓ સવારે 7 થી રાત્રે 8 વાગ્યા સુધી ચાલુ રહેશે.
અમદાવાદ તથા સુરત જીલ્લા ખાતેથી થનાર સંચાલનમાં કુલ બેઠકની ક્ષમતાના મહત્તમ ૫૦ ટકા (કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તેમજ અન્ય વિસ્તાર માંથી થનાર સંચાલનમાં કુલ બેઠક ક્ષમતા ના મહત્તમ ૬૦ ટકા(કોઈ મુસાફર બસમાં ઉભા રહીને મુસાફરી કરી શકશે નહિ) તે મુજબ મુસાફરો ની સંખ્યા સાથે સંચાલન કરવામાં આવશે.
રાજ્ય સરકાર તરફથી અન્ય સૂચના ના મળે ત્યાં સુધી અમદાવાદ ગીતામંદિર મુખ્ય બસ સ્ટેન્ડ ખાતેથી કોઈપણ બસ સેવા શરૂ કરવામાં આવશે નહિ.
હાલ પુરતી વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદ ખાતે જે વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ સૌરાષ્ટ્ર તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર. દક્ષિણ ગુજરાત તરફ જવા માટે રાણીપ, નહેરૂનગર અને કૃષ્ણનગર. ઉત્તર ગુજરાત તરફ જવા માટે રાણીપ, કૃષ્ણનગર અને નહેરૂનગર. મધ્ય ગુજરાત/પંચમહાલ તરફ જવા માટે રાણીપ, નહેરૂનગરથી સેવા મળી રહેશે. કોઈ પણ રૂટ કન્ટેઈનમેન્ટ ઝોન તેમજ માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન વિસ્તારમાંથી પસાર થશે નહિ.
બસના મુસાફરો ઈ-ટીકીટ/મોબાઈલ ટીકીટ મારફતે મુસાફરી કરે તે ઈચ્છનીય છે આમ છતાં સામાન્ય મુસાફરોને અગવડતા ના પડે તે માટે સોશિયલ ડીસ્ટન્સિંગ નું પાલન થાય તે રીતે બસ સ્ટેશન પરના કાઉન્ટર પરથી તેમજ બસમાં કન્ડકટર મારફતે રોકડ નાણાથી પણ ટીકીટ ઇસ્યુ કરવામાં આવશે. બસમાં મુસાફરી કરનાર મુસાફરે તેઓની ટ્રીપ ઉપડે તે પહેલા ઓછામાં ઓછા ૩૦ મિનીટ વહેલા બસ સ્ટેન્ડ પર આવવાનું રહેશે.
દરેક બસ ટ્રીપ પૂર્ણ થયેથી સેનેટાઈઝ કરી અને બીજી ટ્રીપમાં ઓપરેટ થશે. ડેપો બસ સ્ટેન્ડ ખાતે માત્ર માસ્ક પહેરેલ હોય તેઓને જ પ્રવેશ આપવામાં આવશે.બસ સ્ટેન્ડમાં પ્રવેશ સમયે જ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે અને લક્ષણ વિહીન મુસાફરોને જ પ્રવેશ આપવામાં આવશે અને આ સમયે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તેની તકેદારી રાખવા સૂચનાઓ અપાઇ છે.
બસમાં બેસતા તમામ મુસાફરોને સેનેટાઇઝરથી હાથ સાફ કરી બસની અંદર પ્રવેશ આપવામાં આવશે. બસમાં મુસાફરોને બેસતા અને ઉતરતા સમયે સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે રીતે બોર્ડીગ અને ડી બોર્ડીગ કરાવવામાં આવશે. મુસાફરો ધ્વારા સરકારની ગાઈડ લાઈન/સોશિયલ ડીસન્ટસીંગનું પાલન થાય તે માટેની બાબત, તમામ બસ સ્ટેન્ડ/કંટ્રોલ પોઈન્ટ પર પબ્લીશ કરી અને જાહેર જનતાને અપીલ કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
નિગમના સંચાલકીય સ્ટાફ માટે સલામતીની પુરતી અને પર્યાપ્ત કાળજી લેવામાં આવે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે તેમ પણ વાહન વ્યવહાર મંત્રી એ ઉમેર્યું હતું.