ખાનગી શાળા સંચાલકોની જોહુકમી સામે શિક્ષણ માટે ઓનલાઇન વ્યવસ્થા
શિક્ષણ વિભાગ કોઈપણ સંજોગોમાં મુક પ્રેક્ષક ના બની શકે - શિક્ષણમંત્રી શ્રી ચુડાસમા
સરકાર આ શાળા સંચાલકો સામે ખરેખર બાથ ભિડી શકશે કે કેમ તે વાલીઓમાં શંકા
ગાંધીનગર
ખાનગી શાળા સંચાલકોની જોહુકમી સામે સરકારે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઓનલાઇન વ્યવસ્થા કરી છે. શિક્ષણ વિભાગ કોઈપણ સંજોગોમાં મુક પ્રેક્ષક ના બની શકે. તેમ શિક્ષણમંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ભારપૂર્વક જણાવ્યું છે. જો કે સરકાર આ શાળા સંચાલકો સામે ખરેખર બાથ ભિડી શકશે કે કેમ તે વાલીઓમાં શંકા રહેલી છે. કારણ કે, ખાનગી શાળાના સંચાલકો પૈકી ઘણા રાજકીય રીતે સંકળાયેલા છે.
રાજ્યની ખાનગી અર્થાત સ્વનિર્ભર શાળાઓમાં ભણતા ધોરણ 3 થી 12ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ આપવાનો શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આજે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, સ્વનિર્ભર શાળાઓએ બાળકોને ઓનલાઇન શિક્ષણ નહીં ભણાવવાનો જે નિર્ણય લીધો છે તેવા સંજોગોમાં શિક્ષણ વિભાગ મુક પ્રેક્ષક કોઈપણ સંજોગોમાં ના બની શકે.
ખાનગી શાળા સંચાલકોની જોહુકમી સામે સરકારે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ઓનલાઇન વ્યવસ્થા કરી છે, તેમ શિક્ષણમંત્રીએ ભારપૂર્વક નિર્ધાર વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યા મુજબ સ્વનિર્ભર શાળાના સંચાલકોએ આવો નિર્ણય લીધો છે ત્યારે આ ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર વિનામૂલ્યે ગુજરાતી કે અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પૂરું પાડશે.
શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે આ સંદર્ભમાં જીસીઇઆરટી અને ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને આ અંગેની તૈયારીઓ તાકીદે શરૂ કરવા સૂચના પણ આપી દીધી છે.
રાજ્ય સરકારના આ નિર્ણય સાથે જ ખાનગી શાળા સંચાલકો સાથે સરકાર કોઈક બાંધછોડ કરી લેશે તેમ પણ વાતો થઈ રહી છે. સરકાર આ શાળા સંચાલકો સામે ખરેખર બાથ ભિડી શકશે કે કેમ તે વાલીઓમાં શંકા રહેલી છે. આ શાળા સંચાલકો પૈકી કેટલાયે રાજકીય રીતે સંકળાયેલા છે, જેમને નારાજ કરવા પણ સરકારને પોસાય નહિ, તેમને સાંચવવા જ પડશે.
શિક્ષણ મંત્રીશ્રી એ તો જણાવ્યું હતું કે લોકડાઉન શરૂ થયું ત્યારથી આજ સુધીમાં ધોરણ ૯થી ૧૨ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને બાયસેગ દ્વારા પ્રસારિત થતી વંદે ગુજરાત ચેનલના માધ્યમ ઉપરાંત ડીડી ગિરનાર અને યુટ્યુબના માધ્યમથી તથા ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને ગુજરાતી માધ્યમ દ્વારા શિક્ષણ આપવાની કામગીરી સફળતાપૂર્વક ચાલી રહી છે. હવે એ જ માધ્યમનો ઉપયોગ કરીને રાજ્ય સરકાર આ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે શિક્ષણ આપીને સ્વનિર્ભર શાળાઓના નિર્ણયના સંદર્ભમાં રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું શૈક્ષણિક હિત જોખમાવા નહિ દે.