તલગાજરડા પુસ્તકનું વિમોચન

નરસિંહ મહેતા એક એટલું ઊંચું વિભૂતિ-તત્વ છે 
તેને કોઈ સતાવી શકે જ નહીં
તલગાજરડા ખાતે શ્રી મોરારિબાપુના હસ્તે કવિ શ્રી જવાહર બક્ષીના પુસ્તકનું વિમોચન  
   
કુંઢેલી    (હરેશ જોશી)
      જૂનાગઢની રુપાયતન સંસ્થાના ઉપક્રમે ચિત્રકુટધામ તલગાજરડા ખાતે તારીખ 28ના કવિ શ્રી જવાહર બક્ષીના પુસ્તક "નરસિંહ મહેતાની કવિતામાં આધ્યાત્મિકતા"નું વિમોચન શ્રી મોરારિબાપુના હસ્તે સંપન્ન થયું.દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ની પદવી માટે તેમણે પ્રસ્તુત કરેલ મહાનિબંધને રૂપાયતન સંસ્થાએ મુદ્રિત સ્વરૂપે પ્રકાશિત કરેલ આ ગ્રંથ લોકાર્પિત થયો. આ પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે,નરસિંહ મહેતા એક એટલું ઊંચું વિભૂતિ-તત્વ છે તેને કોઈ સતાવી શકે જ નહીં
      વિમોચન પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે જવાહરભાઈએ ગ્રંથ તૈયાર કર્યો, નિરુપમ નાણાવટીએ સહાયતા પૂરી પાડી,અને હેમંતભાઈ નાણાવટીએ પ્રકાશનનું જે સુંદર કાર્ય કર્યું, તે બદલ એમને સાધુવાદ કે ધન્યવાદ આપવાને બદલે પોતે નરસિંહવાદ આપે છે.તેમણે જણાવ્યું કે  અહીં આ લોકાર્પણ થયું  એનો જે આનંદ છે, એવો આનંદ કદાચ આપણને અન્ય કોઈપણ જગ્યાએ થયો ન હોત, એટલે મારે માટે તો "આજની ઘડી છે રળિયામણી" ! "હું શબ્દનો સાધક છું. હું શબ્દને જરાપણ આમથી આમ કરું તો સરસ્વતી વિણા વગાડે નહીં, મારા માથે વિણા મારે ! કાવ્યરચનાનું બંધારણ તૂટે, તો ક્યારેક અર્થનો અનર્થ થઈ જાય.પરંતુ જવાહરભાઈએ તો શબ્દોને પોતાના અભ્યાસ અને અનુભવની ભૂમિકા પરથી પ્રગટ  કર્યાછે. અભ્યાસ,યોગ  અને યોગ્યતા તેમના પ્રવચનમાં  છે. આટલા અધિકારપૂર્વકનું, નરસિંહ મહેતા ઉપરનું આટલું શ્રેષ્ઠ પ્રવચન પોતે આટલા વર્ષમાં પહેલી વાર સાંભળ્યું ! 
     શ્રી મોરારિબાપુએ કહ્યું કે નરસિંહ મહેતાને નાગરોએ બહુ સતાવ્યા છે, એવી આપણી ધારણા છે.નરસિંહ મહેતા એક એટલું ઊંચું વિભૂતિ-તત્વ છે કે તેને કોઈ સતાવી શકે જ નહીં .આજે ૬૦૦ વર્ષ પછી નરસિંહની કવિતાના નવા નવા અર્થો ને જવાહરભાઈએ ગ્રંથો અને શાસ્ત્રોના આધાર સાથે એવી રીતે મૂલવ્યા છે કે કોઈ એને કાપી શકે નહીં.આ નાગરનું કૂળ,મૂળ અને ધૂળ નરસિંહ મહેતાના છે ! 'ધરા'થી ઉપર ઉઠીને 'અધરા'કેમ થવાય,એ વાત જવાહર ભાઈ જાણે છે અને એના આધારે એમનું આ દર્શન છે. અહીં લૌકિકતાથી મુક્ત થવાની વાત છે.સાંસારિક બંધનોમાં જકડી રાખવાની અહીં વાત નથી.આ વિજ્ઞાનની વાત છે,સાથે આધ્યાત્મિકતાની પણ વાત છે.
      આ પ્રસંગે શ્રી જવાહર બક્ષીએ પોતાના પ્રભાવી,પ્રવાહી અને પ્રસાદપૂર્ણ પ્રવચનમાં જણાવ્યું  કે નરસિંહના પદો પોતે જ સૌથી મોટો ચમત્કાર છે ! શ્રી બક્ષીએ કહ્યું કે સંયમથી  સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે,  જેનો આપણે પ્રસ્તુત પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે.
તેમણે જણાવ્યું કે નરસિંહ મહેતા ની  ૯૫% કવિતાઓ આનંદ સભર છે.નરસિંહ મહેતા જીવન માટે 'અનંત કબીર સંપૂર્ણપણે નિરાકાર વાદી છે, મીરા સંપૂર્ણપણે સાકાર વાદી છે; જ્યારે નરસિંહ મહેતા આ બંનેને બાથમાં લઈને જૂનાગઢના ચોકમાં ઉભો છે ! હિન્દુસ્તાન કોઈ પણ કવિ માં આ રીતે સો ટકા આધ્યાત્મિકતા અને સો ટકા ભૌતિક આનંદનું સંમિશ્રણ નથી જોવા મળતું.તેમણે નરસિંહ મહેતાને એક પૂર્ણ કવિ તરીકે પ્રસ્થાપિત કરી બતાવ્યા.
     નરસિંહના સમગ્ર સર્જનની ખૂબ ભાવસભર અને અર્થસભર પ્રસ્તુતિ કરતા શ્રી જવાહર બક્ષીએ શ્રોતાઓ સમક્ષ નરસિંહને એક સાચા ઋષિ કવિ તરીકે, સર્વ શ્રેષ્ઠ કવિ તરીકે, પરમ જ્ઞાની, પરમ ભક્ત, પરમ યોગી, શુદ્ધ વેદાંતી નિરાકાર વાદી અને  સાકાર વાદી તરીકે તેમની કવિતાને સાદ્યંત સુંદર રસદર્શન દ્વારા સિદ્ધ કરી બતાવ્યા. તેમણે 'જળ કમળ છાંડી જાને' એ પદનુંઆધ્યાત્મિક ભૂમિકા ઉપરથી સૂક્ષ્મ વિશ્લેષણ કરી,કાવ્યમાં રહેલી દાર્શનિક ભૂમિકાને સ્પષ્ટ કરી. સમગ્ર પ્રવચન દરમિયાન શ્રી જવાહર બક્ષીની પોતાની આધ્યાત્મિક ઉંચાઈ તેમની યોગ વિષયક અનુભૂતિ તેમજ કવિ તરીકેની તેમની શબ્દ પરખ સહજ રીતે પ્રગટ થતી હતી
      રૂપાયતન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી હેમંતભાઈ નાણાવટીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું અને કહ્યું કે "આપણે કોઈએ નરસિંહ મહેતાને તો જોયો નથી,પણ શ્રી મોરારિબાપુએ નરસિંહ મહેતાને ઉતાર્યો છે, ઉજાળ્યો છે અને ગજાવ્યો પણ છે. તેમણે શ્રી બક્ષીના પુસ્તકનું આવરણ ચિત્ર બનાવનાર શ્રીવૃંદાવન સોલંકીને પણ આવકાર્યા.  શ્રી નાણાવટીએ જણાવ્યું કે તેમણે શ્રી બક્ષીને આ રીતે આટલા ભાવ સભર રીતે બોલતા આ પહેલી જ વખત સાંભળ્યા છે. તેમણે રૂપાયતન સંસ્થા નો એક બીજો  વ્યક્ત કરતા જણાવ્યું કે નરસિંહ મહેતાના પદો પરથી દોરાયેલા ચિત્રો ની એક સુંદર આર્ટ ગેલેરી રૂપાયતન સંસ્થામાં રચવાનું તેવો વિચારી રહ્યા છે.