સાસણમાં મુખ્યમંત્રી શ્રી બેઠક

સિંહ એ ગુજરાતની આગવી ઓળખ છે
        - મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
સાસણમાં મુખ્યમંત્રી શ્રીના અધ્યક્ષસ્થાને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક


જુનાગઢ
    મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારે સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે રૂ. ૩૫૦ કરોડનું પેકેજ તૈયાર કર્યુ છે તે પેકેજની બધી કામગીરી સમયમર્યાદામાં ત્વરાએ પૂર્ણ કરવા વન વિભાગના અધિકારીઓને સુચના આપી છે.  મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સિંહ એ ગુજરાતની વિશિષ્ટ ઓળખ છે અને ગુજરાત પ્રવાસન પ્રવૃત્તિમાં પણ સિંહ અને સાસણ ગીર અભયારણ્યનું મહત્વ છે. ત્યારે દેશ - વિદેશમાંથી મોટી સંખ્યામાં આવતા પર્યટકો વધુમાં વધુ સિંહ દર્શન કરી શકે તે માટે દેવળીયા પાર્ક અને આંબરડીમાં યોગ્ય વ્યવસ્થા વન વિભાગ ઉભી કરે. તેમણે આંબરડીમાં સિંહ દર્શન માટે પર્યટકોની સુવિધા માટે જરૂરી વાનની વ્યવસ્થા કરવા પણ સુચન કર્યુ હતું.
    શ્રી વિજયભાઇ રૂપાણીએ સાસણ સ્થિત વન વિભાગ હસ્તકના સિંહસદનને પણ અદ્યતન સુવિધાયુક્ત બનાવીને પ્રવાસીઓને આકર્ષી શકે તેવું બનાવવા સુચનો કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ ગીરના વન અભયારણ્ય વિસ્તારમાં પેટ્રોલ, ડીઝલ વાહનની જગ્યાએ ટુરીસ્ટ માટે ઇલેક્ટ્રીકથી ચાલતા વાહનોની પણ વ્યવસ્થા થાય તે જોવા ખાસ અનુરોધ કર્યો હતો. 
    મુખ્યમંત્રીશ્રીએ ગીર વન અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન અટકે તે માટે પણ સઘન પગલા લેવાં વન અધિકારીઓને સૂચનાઓ આપી હતી. 
     જુનાગઢ જિલ્લાના સાસણ ખાતે સિંહસદનમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વન મંત્રી શ્રી ગણપતભાઇ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા. 
    આ બેઠકમાં વન વિભાગ દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ રૂ. ૩૫૦ કરોડના લાયન પેકેજ અંતર્ગત થયેલી  કામગીરીનું પ્રેઝેન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. 
    મુખ્યમંત્રીએ લાયન પેકેજની વિવિધ અગત્યની લાયન હોસ્પીટલ, સિંહો માટે સઘન સારવાર કેન્દ્ર, સિંહો માટે અન્વેષણ, સંશોધન અને નિદાન કેન્દ્ર, ડ્રોનથી નિગરાની, રેડીયો કોલરથી નિગરાની, વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ માટે આધુનિક લાયન એમ્બ્યુલન્સ વાન, સિંહો માટે કોરેન્ટાઇન સેન્ટર, શેત્રુન્જી ડીવીઝનની રચના, લાયન કન્ઝર્વેશન એક્ટીવીટી સાથે સંકળાયેલ સ્ટાફની તાલીમ, રેસ્ક્યુ સેન્ટરનું સુદ્રઢીકરણ, એનીમલ એક્ચેન્જ, વેટરનરી કેડરની સ્થાપના, આઇ.સી.યુ. સારવાર કેન્દ્ર, રસીકરણ, વગેરેની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.
    આ બેઠકમાં વન વિભાગના એડીશનલ ચીફ સેક્રેટરી શ્રી રાજીવકુમાર ગુપ્તા, અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી શર્મા, મુખ્ય વન સંરક્ષકો શ્રી વસાવડા, શ્રી પ્રદિપસિંહ, નાયબ વન સંરક્ષકો સર્વશ્રી પુરૂષોતમ, સુશ્રી રાજ સંદિપ, શ્રી ધીરજ મિત્તલ, શ્રી પ્રિયાંક, શ્રી સુનિલ ગેરવાલ, સાસણ વાઇલ્ડ લાઇફના સંરક્ષક શ્રી રામમોહન, જુનાગઢ સક્કરબાગના નિયામક શ્રી રામ રતન નાલા, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. 
    પ્રારંભમાં એડીશનલ ચીફ સેક્રેટરી  રાજીવકુમાર ગુપ્તાએ વન વિભાગ હસ્તકની વિવિધ પ્રવૃતિઓની વિસ્તૃત જાણકારી મુખ્યમંત્રીશ્રીને આપી હતી.