કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતીમાંથી ઝડપથી પૂર્વવત બેઠા કરવા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત
નાના વેપારીઓ, કારીગરો, વ્યકિતગત, નાના વ્યવસાયકારો, શ્રમિક વર્ગને રુ. ૧ લાખ સુધીની લોન - મુખ્યમંત્રીશ્રી રૂપાણી
ગાંધીનગર
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ કોવિડ-19ને કારણે સજાર્યેલી લોકડાઉનની સ્થિતીમાંથી ઝડપભેર જનજીવન પૂર્વવત થાય અને નાના કારીગરો, નાના વેપારીઓ, વ્યકિતગત કારીગરો, શ્રમિક વર્ગને ફરી વ્યવસાય રોજગારીમાં બેઠા કરવાની બહૂહેતુક એવી ‘‘આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના’’ની જાહેરાત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરતાં જણાવ્યું કે, કોરોના વાયરસને કારણે દેશમાં જે બે-અઢી મહિના લોકડાઉનની સ્થિતી રહી તેના કારણે નાના વેપારીઓ, ધંધા-રોજગાર કરતા કારીગરોને જે આર્થિક વિપરીત અસર પડી છે તેમાંથી ઝડપભેર પૂર્વવત કરવાની અને રાજ્યના અર્થતંત્રને વેગ આપી ગુજરાત ફરી એકવાર દેશનું અગ્રીમ રાજ્ય બને તેવી આપણી નેમ છે. તેમણે વિશ્વાસ વ્યકત કર્યો કે, લોકડાઉનનો આ જે આર્થિક માર પડયો છે તેમાંથી આવનારા છ-બાર મહિનામાં આવા નાના ધંધા-વ્યવસાયકારો, કારીગરો રિકવર થઇ જાય અને આગળ વધે તે માટે આ નવી જાહેર થયેલી આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અત્યંત મદદરૂપ થશે.
મુખ્યમંત્રીશ્રીએ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રીશ્રીએ અર્થતંત્રને પૂન: ધબકતું કરવા જે આત્મનિર્ભર ભારતનો કોલ આપેલો છે તેને આપણે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાથી સાકાર કરી ભારતને ફરીથી વિશ્વ મહાસત્તા બનાવવા આગળ વધવું છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં ૧૦ લાખથી વધુ એવા નાના ધંધા-રોજગાર વ્યવસાયકારો જેમાં ધોબી, વાળંદ, ઇલેકટ્રીશ્યન, કરિયાણાની નાની દુકાન વગેરેનો સમાવેશ થાય છે તેવા વર્ગોને આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત રૂ. ૧ લાખ સુધીની લોન રાજ્યની કો-ઓપરેટીવ બેન્કો, જિલ્લા હકારી બેન્કો અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા માત્ર ર ટકાના વાર્ષિક વ્યાજે આપવામાં આવશે તેમ આ જાહેરાતની વિશેષતાઓ આપતાં જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આવી લોન સહાય મેળવવા માટે લાભાર્થીએ માત્ર એક અરજી જ કરવાની રહેશે અને તેના આધારે રૂ. ૧ લાખ સુધીની લોન તેને મળી જશે.
મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સામાન્યત: આવી લોન ઉપર ૧૦ થી ૧ર ટકાનો માર્કેટ રેટ (ઇન્ટરેસ્ટ) લેવામાં આવતું હોય છે. પરંતુ રાજ્ય સરકારે આવા નાના કારીગરો, મધ્યમવર્ગના વેપારીઓની વર્તમાન સ્થિતીમાં માત્ર ર ટકા વ્યાજે બેન્કો લોન આપે તેવું બેન્કો સાથે બેઠકો યોજીને સુનિશ્ચિત કર્યુ છે. આ બે ટકા ઉપરાંતનું એટલે કે ૬ ટકા વ્યાજ રાજ્ય સરકાર ભોગવશે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, ત્રણ વર્ષ માટેનો આવી લોન-સહાયનો કુલ વ્યાજ દર ર૦ ટકા જેવો થાય તેના સ્થાને લાભાર્થીએ માત્ર ૬ ટકા જ ભરવાના થશે બાકીના ૧૮ ટકા વ્યાજ રાજ્ય સરકાર આપશે.
મુખ્યમંત્રીશ્રીએ આવી લોન સહાય મેળવનારા નાના વેપાર વ્યવસાયકારોને લોન મેળવ્યાના પ્રથમ ૬ મહીના એટલે કે મોરેટોરિયમ પિરીયડ દરમ્યાન કોઇ હપ્તો કે વ્યાજ ભરવાનું રહેશે નહિ તેવી પણ મહત્વની જોગવાઇ આ યોજનામાં કરેલી છે. તેમણે કહ્યું કે, રાજ્યની રર૦ અર્બન કો-ઓપરેટીવ બેન્કની ૧૦૦૦ શાખાઓ, ૧૮ જેટલી જિલ્લા સહકારી બેન્કોની ૧૪૦૦ શાખાઓ અને ક્રેડીટ સોસાયટીઓ દ્વારા આવી લોન ત્રણ વર્ષ માટેની મુદતની આપવામાં આવશે.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, લોન મેળવવાની સંપૂર્ણ વ્યવસ્થા નિ:શૂલ્ક રહેશે એટલે કે અરજી ફોર્મ કે અન્ય કોઇ ફી ની રકમ લાભાર્થીએ ચૂકવવી પડશે નહિ. તેમણે એવો વિશ્વાસ વ્યકત કર્યો કે કુલ રૂ. પ હજાર કરોડ સુધીના આવા ધિરાણથી રાજયના ૧૦ લાખથી વધુ નાના વેપારીઓ, વ્યકિતગત કારીગરો, શ્રમિક વર્ગને આ યોજનાનો લાભ મળવાથી સમાજના છેવાડાના અને અંતિમ છૌરના વ્યકિતને પણ આર્થિક આધાર મેળવી આત્મનિર્ભર થવાની અને લોકડાઉનની સ્થિતિ બાદ પૂન: બેઠા થવાની તક મળશે.
મુખ્યમંત્રીશ્રીએ આ યોજનામાં સંવેદનશીલતાથી સહયોગ આપનારા રાજ્યની સહકારી બેન્કો, અર્બન કો-ઓપરેટીવ બેન્કો, જિલ્લા સહકારી બેંકો અને ક્રેડીટ સોસાયટીઓના સામાજીક અગ્રણીઓ પ્રત્યે પણ આભાર વ્યકત કર્યો હતો.