ગુજરાતમાં સંભવિત વાયુ વાવાઝોડાની આફતથી આપણે ભયમૂકત - મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં  ઉચ્ચસ્તરીય બેઠક

ગાંધીનગર

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બેઠક બાદ પ્રચાર માધ્યમો સમક્ષ જણાવ્યું કે, ગુજરાતમાં આવનારી આ સંભવિત વાયુ વાવાઝોડાની આફતથી આપણે ભયમૂકત થયા છીયે.‘‘આ વાવાઝોડું સંપૂર્ણ રીતે અરબી સમૂદ્રમાં પશ્ચિમ તરફ આગળ વધ્યું છે અને ગુજરાત ઉપરનો આ વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે.’’  

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સંભવિત ‘વાયુ’ વાવાઝોડાની આફતની છેલ્લામાં છેલ્લી સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી.

મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે આ સ્થિતીને મધ્યનજર રાખીને જિલ્લાતંત્રોને સૂચનાઓ આપી છે કે, જિલ્લાના આપદા પ્રબંધન હવે સામાન્ય કરી દેવામાં આવે.તેમણે જે ૧૦ જિલ્લાના ર.૭પ લાખ જેટલા લોકોનું સલામત સ્થળે આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરાવવામાં આવેલું છે તેમને હવે પરત મોકલવાની કાર્યવાહી હાથ ધરવાની સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે તેમ ઉમેર્યુ હતું.

આવા જે લોકોએ આશ્રયસ્થાનોમાં આશ્રય લીધો હતો તેમાંથી પુખ્ત વયની વ્યકિતને રૂ. ૬૦ પ્રતિદિન અને સગીર વયની વ્યકિતને રૂ. ૪પ પ્રતિદિન પ્રમાણે રાજ્ય સરકાર ત્રણ દિવસની કેશડોલ્સ ચૂકવશે તેમ પણ જાહેર કર્યુ હતું.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, અસરગ્રસ્ત ૧૦ જિલ્લામાં જિલ્લાતંત્રના માર્ગદર્શન માટે મંત્રીશ્રીઓ અને પ્રભારી સચિવોને મોકલવામાં આવેલા હતા તેઓ પણ શુક્રવારે બપોર બાદ પરત આવી જશે.

આ વિસ્તારોમાં શાળા-કોલેજો આવતીકાલથી રાબેતા મુજબ શરૂ થઇ જવાની છે એટલું જ નહિ, સૌરાષ્ટ્ર-કચ્છના પોર્ટસ (બંદર) પર પણ આવતીકાલથી યાતાયાત – ગિતવિધિઓ ફરી શરૂ કરી દેવાશે તેની વિગતો પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યુ કે જે વિસ્તારોમાં ઘોરીમાર્ગો પર વૃક્ષો-ઝાડ પડી જવાના કે અન્ય આડશો આવી જવાના કિસ્સાઓમાં પણ તે દૂર કરી માર્ગો કલીયર કરી દેવાયા છે.માર્ગ વાહન વ્યવહાર એસ.ટી. નિગમની બસ સેવાઓનું સંચાલન પણ શુક્રવાર સાંજથી નિયમીત કરી દેવામાં આવશે.તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના ખેતીવાડી, આરોગ્ય, માર્ગ-મકાનથી લઇને મહિલા બાળ કલ્યાણ સુધીના બધા જ વિભાગોએ સતત સંકલનમાં રહીને વ્યવસ્થાઓ પાર પાડીને ઓછામાં ઓછું નૂકશાન થાય તથા કોઇ જાનહાનિ ન થાય તે સુનિશ્ચિત કર્યુ હતું.

આ સંભવિત વાવાઝોડાની અસરોને પગલે રાજ્યના ર૦૦૦ ગામોમાં વીજપૂરવઠાને પણ અસર પહોચી હતી તે હવે પૂર્વવત થતાં માત્ર ૧૪૪ ગામોમાં વીજપૂરવઠો રાબેતા મુજબ થવાનો બાકી છે તે પણ શુક્રવાર સાંજ સુધીમાં થઇ જશે તેમ તેમણે ઉમેર્યુ હતું.આ સંભવિત વાવાઝોડાની અસરો દરમ્યાન ૧૯૯ જેટલી સગર્ભા બહેનોને આરોગ્ય વિભાગે સફળતાપૂર્વક પ્રસૂતિ પણ કરાવી છે તેની માહિતી તેમણે આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, આ સંભવિત વાયુ વાવાઝોડાના મૂકાબલા માટે રાજ્ય સરકારે માસ્ટર પ્લાન બનાવીને સ્ટ્રેટેજીપૂર્વક કામગીરી કરી છે અને પૂરી સજ્જતાથી લડવાના તંત્રના માઇક્રો લેવલ પ્લાનીંગનું ડોકયુમેન્ટેશન કરવાની સૂચનાઓ પણ આપી છે.આવું ડોકયુમેન્ટેશન ભવિષ્યમાં જો કોઇ મોટી કુદરતી આફત-ત્રાસદી આવી પડે તો તેને પહોચી વળવા તંત્ર માટે માર્ગદર્શક રેફરન્સ બને તેવો આપણો આશય છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, કેન્દ્રીય હવામાન વિભાગના સતત અપડેટને પગલે આપણને આ મોટી આફત સામે લડવાની પૂર્ણ સર્તકતા કેળવવાનો મોટો અનુભવ મળ્યો છે.તેમણે ભારત સરકાર, કેન્દ્રીય હવામાન વિભાગ, NDRF, આર્મી, નેવી, એરફોર્સ જેવી કેન્દ્રીય એજન્સીઓ તેમજ રાજ્યના નાગરિકો, મિડીયા જગતનો તેમણે આપેલા સહકાર માટે આભાર વ્યકત કર્યો હતો.તેમણે જણાવ્યું કે, અન્ય રાજ્યોમાંથી આવેલી NDRF ટીમ આવતીકાલથી મૂવ થશે અને ગુજરાતની ટીમ અહિ જ રોકાવાની છે.

આ વેળાએ મહેસૂલના અધિક મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર, GSDMAના CEO શ્રીમતી અનુરાધા મલ પણ ઉપસ્થિત રહ્યા હતા.