પ્રખ્યાત શિલ્પકાર જ્યોત્સનાબેન ભટ્ટ - શ્રોફનું અવસાન
કલાજગતને પડેલી મોટી ખોટ
ઈશ્વરિયા
આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવનાર પ્રસિધ્ધ શિલ્પી શ્રી જ્યોત્સનાબેન ભટ્ટનું વડોદરા ખાતે બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થતા કલાજગતને મોટી ખોટ .પડી છે.
જ્યોત્સનાબેન ભટ્ટે છેલ્લા ૫૦ વર્ષથી શિલ્પકાર તરીકે ગુજરાતને અનેક સ્તરે ખ્યાતિ અપાવવાનું કાર્ય કર્યું છે. માંડવીમાં જન્મેલા જ્યોત્સનાબેને ગુજરાતની પ્રસિધ્ધ એવી M.S યુનિવર્સિટીમાંથી પ્રસિધ્ધ શિલ્પી અને પ્રાધ્યાપક તેવા પ્રાધ્યાપક શ્રી શંખો ચોધરીજી પાસેથી શિલ્પકળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. શ્રી જ્યોત્સનાબેન વિશ્વના પ્રસિધ્ધ શિલ્પકારો જેવા કે શ્રી. બેસાબ બરુઆ અને પ્રાધ્યાપક શ્રી જોલયન હોફસ્ટેડ (બ્રોક્લીન મ્યુઝિયમ આર્ટ સ્કૂલ, USA) પાસેથી શિલ્પકળામાં પારંગતતા પ્રાપ્ત કરેલી। તેઓશ્રીએ 1972થી એમ.એસ. યુનિવર્સિટી ખાતે શિલ્પમાં સિરામીક શીખવવાનું શરુ કરેલું. 1972માં એક પ્રાધ્યાપકથી લઇ 2002 સુધી મુખ્ય પ્રાધ્યાપક અને ભવનના અધ્યક્ષ તરીકે તેમણે પોતાની યશસ્વી સેવાઓ આપી હતી. તેમની અધ્યક્ષતામાં એમ.એસ. યુનિવર્સિટીને અનેરી ખ્યાતિ પ્રાપ્ત થયેલ. તેમના માર્ગદર્શનમાં ભારતના અનેક પ્રસિધ્ધ શિલ્પીઓએ વિદ્યાર્થી તરીકે પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનાવી છે.
છેલ્લા ૫૦ વર્ષમાં શ્રી જ્યોત્સનાબેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક કાર્યશાળાઓ, પ્રદર્શનો અને કળા શિબિરોમાં પોતાની સેવાઓ આપી છે. શિલ્પકલા ક્ષેત્રે તેમનું પ્રદાન સદૈવ અવિસ્મરણીય રહેશે. શિલ્પમાં ફિલોસોફીકલ ખ્યાલો અને સામાજિક ખ્યાલોને જોડીને નવીનતા લાવવી તે તેમની વિશેષતા હતી.
ઉલ્લેખનીય છે કે તેઓશ્રી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ચિત્રકાર પદ્મશ્રી જ્યોતિ ભટ્ટનાં ધર્મપત્ની હતા. ભાવનગરનાં દિવંગત શ્રી માનભાઈ ભટ્ટના પુત્રવધુ હતા. અત્યંત શ્રીમંત કુટુંબમાંથી આવતા હોવા છતાં અત્યંત સરળ તેવા શ્રી જ્યોત્સનાબેનની સંવેદનશીલતા, મૃદુતા અને સમર્પણની ભાવનાને લીધે તેઓ
કલાકારો માટે પ્રેરણાનું ઝરણું બની રહેશે. શ્રી જ્યોત્સનાબેન ભટ્ટનું વડોદરા ખાતે બ્રેઈન સ્ટ્રોકના કારણે અવસાન થયું છે, જેથી કલાજગતને મોટી ખોટ પડી છે.