વિદેશથી નવા ઉદ્યોગો - શ્રી શક્તિસિંહ ગોહિલ

'ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો '
વિદેશથી નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે તેનાથી ખુબ જ આશ્ચર્ય અને આઘાત - શ્રી શક્તિસિંહ ગોહિલ 
અમદાવાદ 
ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ વિદેશથી નવા ઉદ્યોગો ગુજરાતમાં આવે તે માટે જાહેરાતો કરી છે તેનાથી ખુબ જ આશ્ચર્ય અને આઘાત લાગ્યો. વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે જે જાહેરાતો કરી છે તેનાથી સ્પષ્ટ થાય છે કે 'ઘરના ઘંટી ચાટે અને પારકાને આટો ' . વિદેશથી આવતા ઉદ્યોગકારો માટે ઓનલાઇન વ્યવસ્થા કરીને 7 જ દિવસમાં તમામ મંજૂરીઓ આપી દેવાની જે જાહેરાત કરવામાં આવી છે તેના બદલે હાલમાં આપણાં ગુજરાતના નાના અને લઘુ ઉદ્યોગો જે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે તેના માટેની ચિંતા કરવી જોઈએ, તેમ કોંગ્રેસ અગ્રણી શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા જણાવાયું છે. 
કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી શ્રી શક્તિસિંહ ગોહિલ રોષ સાથે દ્વારા જણાવાયું છે કે, નવા વિદેશથી આવતા ઉદ્યોગો માટે 33,000 હેકટર જમીન અને એ પણ પ્લગ અને પ્રોડ્યૂસ સુવિધા સાથે આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે. હકીકતમાં જે આપણાં ઉદ્યોગો કોરોના વાયરસ, નોટબંધી અને વધારે પડતા GST ના કારણે અતિશય મુશ્કેલીમાં આવી ગયા છે તેવા આપણાં સ્થાનિક ઉદ્યોગોને વધારે લાભ આપવો જોઈએ નહીં કે નવા વિદેશથી ઉદ્યોગો માટે લાલ જાજમ. વિદેશથી નવા આવનાર ઉદ્યોગોને શ્રમિકોનું શોષણ કરવાની પુરી પરવાનગી આપવાની હોય તે રીતે ત્રણ કાયદાઓ છોડીને તમામ શ્રમિક કાયદાઓમાંથી નવા ઉદ્યોગોને 1200 દિવસ સુધીની છૂટ આપવામાં આવી છે જે આપણાં શ્રમિકો માટે ઘાતક પુરવાર થશે.
રાજ્ય સરકારનો આ વિદેશથી આવતા ઉદ્યોગો માટેનો પ્રેમ એ આપણાં ગુજરાત ના ઘરેલું ઉદ્યોગોને પડયા પર પાટું મારવા સમાન બની રહેશે. આથી તાત્કાલીક અસરથી આ બધી વિદેશથી આવતા ઉદ્યોગો માટેની મહેરબાની બંધ કરીને આપણાં સ્થાનિક ઉદ્યોગો ટકી રહે તે માટેની વિચારણા થાય અને આપણા ગુજરાત ના ઉદ્યોગો ને તાત્કાલિક સ્ટિમ્યુલસ પેકેજ આપવામાં આવે તેવી કોંગ્રેસ પક્ષ દ્વારા લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે, તેમ શ્રી ગોહિલ દ્વારા જણાવાયું છે.