રેલ મંડળ પ્રબંધકોનું સન્માન

મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર, વડોદરા, રાજકોટ અને અમદાવાદ રેલ મંડળ પ્રબંધકોનું સન્માન કર્યું
કોરોના વાયરસ સંક્રમણ - સમગ્ર દેશમાં સૌથી વધુ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેન ગુજરાતમાંથી રવાના થઇ
 
ગાંધીનગર 
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ પ્રવર્તમાન કોરોના વાયરસ સંક્રમણની સ્થિતિમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં રોજગારી માટે વસેલા અન્ય રાજ્યોના અંદાજે ૧૪ લાખ થી વધુ શ્રમિકોને પોતાના વતન પહોંચાડવા માટે ભારતીય રેલવેના ગુજરાત પ્રદેશના ભાવનગર, વડોદરા, રાજકોટ અને અમદાવાદ એમ ચાર રેલ મંડળ પ્રબંધકોનું સન્માન કર્યું છે.
ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સફળતાને પગલે વિવિધ રાજ્યોમાંથી રોજી-રોટી માટે સુરત, અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા મહાનગરોમાં વસેલા લાખો શ્રમિકોને કોરોનાના સમયમાં લોકડાઉનને કારણે તેમના ઘર પરિવાર પાસે વતન રાજ્યમાં પહોંચાડવાના રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમમાં રેલ્વે તંત્રએ સક્રિયતાપૂર્ણ યોગદાન આપ્યું છે
સમગ્ર રાજ્યમાંથી કુલ 999 શ્રમિક સ્પેશિયલ ટ્રેન જેમાં યુ.પી 558, બિહાર 223, ઓરિસ્સા 91, સહિતના વિવિધ રાજ્યોમાં ટ્રેનો દ્વારા 14 લાખ 56 હજાર જેટલા પર પ્રાંતિય શ્રમિકો રાજય સરકારના વહિવટીતંત્ર અને રેલ્વે તંત્રના સુચારું સંચાલનમાં માત્ર 1 જ મહિનાના સમય ગાળામાં અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોના પાલન સાથે પોતાના વતન રાજ્ય પહોંચાડાયા છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ ઉત્તમ સેવા દાયિત્ય માટે પશ્વિમ રેલ્વેના ભાવનગર, વડોદરા, રાજકોટ અને અમદાવાદ રેલ મંડળના પ્રબંધકોનું સન્માન કર્યું છે, તેઓને પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરાયા. આ સન્માનિતોમાં શ્રી દિપકકુમાર ઝા - અમદાવાદ, શ્રી પરમેશ્વર ફૂંકવાલ – રાજકોટ, શ્રી પ્રતિક ગોસ્વામી ભાવનગર અને શ્રી દેવેન્દ્ર કુમાર - વડોદરાનો સમાવેશ છે. 
અહીંયા શ્રમ-રોજગારના અધિક મુખ્ય સચિવ શ્રી અને પરપ્રાંતિય શ્રમિકો માટે સ્પેશિયલ શ્રમિક ટ્રેનના સંકલન કર્તા શ્રી વિપુલ મિત્રા આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા