ઓખા તટરક્ષક દળ સુવિધા

ભારતીય તટરક્ષક દળના એરક્રાફ્ટ અને સમુદ્રી અસ્કયામતો દ્વારા સમુદ્રી સરહદ હંમેશા સલામત છે. -  મુખ્યમંત્રી શ્રી રૂપાણી
ઓખા ખાતે ભારતીય તટરક્ષક દળ સુવિધાનું ઉદ્ઘાટન 

અમદાવાદ 

ઓખા ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળ જિલ્લા વડામથક ખાતે યોજાયેલા કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારતીય તટરક્ષક દળ મેરિડ એકોમોડેશન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું હતું અને કહ્યું કે  ભારતીય તટરક્ષક દળના એરક્રાફ્ટ અને સમુદ્રી અસ્કયામતો દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાથી સમુદ્રી સરહદ હંમેશા સલામત છે.  

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે સંબોધન આપતી વખતે જણાવ્યું હતું કે, માછીમાર સમુદાયને શક્તિશાળી બનાવવા માટે ભારતીય તટરક્ષક દળ એક આધારસ્તંભ સમાન છે અને ગુજરાતના માછીમારોની 'આંખ અને કાન' તરીકે સક્રિય સહભાગીતાના કારણે દરિયાકાંઠાનું સુરક્ષા વ્યવસ્થાતંત્ર વધુ શક્તિશાળી બનશે. તેમણે 2020ના વર્ષમાં કોવિડ-19ની પરિસ્થિતિ વચ્ચે પણ આ પ્રદેશમાંથી રૂપિયા 1700 કરોડના નાર્કોટિક્સનો જથ્થો જપ્ત કરીને યુવાનોને ડ્રગ્સથી બચાવવાની કામગીરી, 30 લોકોના જીવ બચાવવાની કામગીરી અને 3 બીમાર વ્યક્તિઓને દરિયામાંથી બચાવીને લાવવાની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભારતીય તટરક્ષક દળના એરક્રાફ્ટ અને સમુદ્રી અસ્કયામતો દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી હોવાથી સમુદ્રી સરહદ હંમેશા સલામત છે. મુખ્યમંત્રીએ ભારતીય તટરક્ષક દળ અને રાજ્ય પ્રસાશન વચ્ચે અસરકારક તાલમેલ રહેવાની આશા રાખી હતી અને અપીલ પણ કરી હતી.

ઓખા ખાતે આ કાર્યક્રમના સમાપન વખતે મુખ્યમંત્રી ભારતીય તટરક્ષક દળની છીછરા પાણીની કામગીરીઓના સાક્ષી બન્યા હતા અને સિગ્નેચર બ્રીજની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા.