મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સંપૂર્ણ સ્વસ્થ
નિવાસસ્થાનેથી સરકારની કામગીરીનું સંચાલન માર્ગદર્શન કરશે
ગાંધીનગર
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના સ્વાસ્થ્યનું બુધવારે સવારે ગુજરાતના અગ્રણી તબીબો દ્વારા પરિક્ષણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીશ્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે.
મુખ્યમંત્રીશ્રીના સચિવ શ્રી અશ્વિનીકુમારે આ સંદર્ભમાં જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી સંપૂર્ણપણે સ્વસ્થ છે અને તેમના તમામ પેરામિટર્સ નોર્મલ છે.
મુખ્યમંત્રીશ્રી હાલ તેઓના નિવાસસ્થાનેથી રાજ્ય સરકારની તમામ કામગીરીનું સંચાલન અને તંત્રનું માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી વિડીયો કોન્ફરન્સ, વિડીયો કોલીંગ અને ટેલિફોન સંવાદ દ્વારા કરી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને આવતા એક સપ્તાહ સુધી કોઇપણ મુલાકાતીને પ્રવેશ આપવામાં નહી આવે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સરકારની તમામ કામગીરીનું સંચાલન અને માર્ગદર્શન ટેકનોલોજીના ઉપયોગથી મુખ્યમંત્રી નિવાસસ્થાનેથી રાબેતા મુજબ કરશે તેમ પણ શ્રી અશ્વિનીકુમારે ઉમેર્યુ હતું. તેમણે કહ્યું કે, મંગળવારે બપોરે મુખ્યમંત્રીશ્રીના નિવાસસ્થાને અમદાવાદ શહેરના ત્રણ ધારાસભ્યો સર્વ શ્રી ગ્યાસુદિન શેખ, શૈલષભાઇ પરમાર અને ઇમરાન ખેડાવાલાની મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રી સાથે બેઠક યોજવામાં આવી હતી. અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને પગલે આ વિસ્તારોની પરિસ્થિતીની ગહન ચર્ચા અને તકેદારી રૂપે કરફયુ જાહેર કરવાની સમગ્ર બાબતોના પરામર્શ માટે આ બેઠક યોજવામાં આવી હતી.
મુખ્યમંત્રીશ્રીના સચિવે જણાવ્યું કે, આ બેઠકમાં હાજર રહેલા ધારાસભ્ય શ્રી ઇમરાન ખેડાવાલાને તાવ અને શરદીના લક્ષણો જણાતાં તબીબી પરિક્ષણ કરાવેલું જેનો રિપોર્ટ આવવાનો બાકી હતો. તેઓ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ મંગળવારે સાંજે શ્રી ખેડાવાલાનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવતાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીનું ગુજરાતના અગ્રણી તબીબો ડૉ. આર. કે. પટેલ અને ડૉ. અતુલ પટેલ દ્વારા બુધવારે પરિક્ષણ કરવામાં આવ્યું છે. બુધવારે આરોગ્ય પરિક્ષણ કરવામાં આવ્યું હતું, એમ પણ મુખ્યમંત્રીશ્રીના સચિવે ઉમેર્યુ હતું.