ઈશ્વરિયાના વતની ઉગામેડી સ્થિત પર્યાવરણ કાર્યકર્તા
શ્રી રમેશભાઈ નાકરાણીને એનાયત થશે 'જળ પ્રહરી' રાષ્ટ્રીય સન્માન
શિક્ષણ સાથે પાણી પર્યાવરણની પ્રવૃત્તિની નોંધ લેવાઈ
ઈશ્વરિયા શનિવાર તા.26-03-2022
ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામના વતની અને ઉગામેડી સ્થિત શિક્ષણ અને પર્યાવરણ કાર્યકર્તા શ્રી રમેશભાઈ નાકરાણીને રાજધાની દિલ્લી ખાતે 'જળ પ્રહરી' રાષ્ટ્રીય સન્માન એનાયત થશે.
આગામી બુધવાર તા.૩૦ બપોરે રાજધાની દિલ્લી ખાતે જળ શક્તિ મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતની મુખ્ય ઉપસ્થિતિ સાથે જળપુરુષ શ્રી રાજેન્દ્રસિંહ અને રાષ્ટ્રીય હાજરીમાં દેશભરમાંથી પસંદ થયેલા પાણી પર્યાવરણ કાર્યકર્તાઓને 'જળપ્રહરી સન્માન ૨૦૨૨' એનાયત કરવામાં આવશે, જેમાં ગુજરાતમાંથી શ્રી રમેશભાઈ પટેલને સન્માનિત કરાશે.
સરકારી ટેલ દ્વારા ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના સંકલન સાથેના આ રાષ્ટ્રીય કક્ષાના સમારોહના સંયોજક શ્રી અનિલસિંહે આપેલી વિગતો મુજબ પાણી સંદર્ભે નવીન ઉપયોગ, ઉપકરણ પ્રયોગ, પારંપરિક અનોખી પદ્ધતિ વગેરે દ્વારા પાણી બચાવવા માટે કાર્યરત ખેડૂત, વૈજ્ઞાનિક, ઉચ્ચ અધિકારી, શિક્ષક, કાર્યકર્તા વગેરેનો આ સન્માન માટે સમાવેશ થયેલો છે.
ગુજરાતના ભાવનગર જિલ્લાના મૂળ વતની અને બોટાદ પાસેના ઉગામેડી સ્થિત શ્રી ર.વિ.ગો.વિદ્યાલય સંસ્થામાં શિક્ષક આચાર્ય તરીકે નિવૃત્ત થયેલા શ્રી રમેશભાઈ પટેલ જળ સંગ્રહ, પર્યાવરણ જાગૃતિ, સામાજિક ચેતના જગાવવામાં સતત પ્રવૃત્ત છે. ઈશ્વરિયા તેમજ ઉગામેડી આસપાસ આડબંધ નિર્માણ, વિવિધ વન્ય પર્યાવરણ શિબિર કાર્યક્રમો, સ્થાનિક સ્મશાન વગેરેમાં સઘન વનીકરણ, ચકલી માળા તથા પક્ષી પરબ કુંડા વિતરણ તેમજ સામાજિક ક્ષેત્રે દિવસ રાત તેઓ મંડી રહ્યા છે અને જુદી જુદી સંસ્થાઓ સાથે પ્રવૃત્તિથી જોડાયેલા છે.
રાજધાની દિલ્લી ખાતે આ પસંદગી સમિતિમાં પૂર્વ મુખ્ય ન્યાયાધીશ શ્રી રંજન ગોગોઈ રહેલા છે. સન્માન સમારોહમાં દિલ્લીના સાંસદ શ્રી મનોજ તિવારી, રાજ્યસભા સાંસદ શ્રી વિજયપાલસિંહ તોમર વગેરેની વિશેષ ઉપસ્થિતિ રહેશે.