સરવેડી ખાતે 'મારુ ગામ હરીયાળુ ગામ' કાર્યક્રમ

 
વૃક્ષ રાષ્ટ્રીય કામગીરી જ નહિ,
વ્યક્તિગત ફરજ : શ્રી નાનુભાઈ વાઘાણી 
સરવેડી ખાતે 'મારુ ગામ હરીયાળુ ગામ' કાર્યક્રમ
 
ઈશ્વરિયા
 
'વૃક્ષ એ માત્ર રાષ્ટ્રીય કામગીરી , દરેકની વ્યક્તિગત ફરજ છે.' આ વાત સરવેડી ખાતે યોજાયેલ 'મારુ ગામ હરિયાળું ગામ' કાર્યક્રમમાં સહકારી અગ્રણી શ્રી નાનુભાઈ વાઘાણીએ કરી હતી.   
 
સિહોર તાલુકાના સરવેડી ગમે રવિવારે સમસ્ત ગામના આયોજન અને સુરત સ્થિત સમિતિના સંકલનથી વૃક્ષારોપણ દિવસ મનાવાયો. 'મારુ ગામ હરિયાળું ગામ' કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા સહકારી બેન્કના પ્રમુખ અને સહકારી અગ્રણી શ્રી નાનુભાઈ વાઘાણીએ ઝાડ એ જન્મથી મરણ સુધી ઉપયોગી હોઈ, વૃક્ષ એ માત્ર રાષ્ટ્રીય કામગીરી જ નહિ, દરેકની વ્યક્તિગત ફરજ છે તેમ જણાવ્યું. તેમણે કહ્યુ કે પાણી નથી માટે ઝાડ નથી, એમ નહિ, પરંતુ ઝાડ નથી માટે પાણી નથી.
 
 કૃષિ અધિકારી તથા શિવમહાપુરાણ વિજ્ઞાનમય ગાથાના વક્તા શ્રી ધાનાણીએ સમગ્ર વિશ્વમાં વ્યક્તિદીઠ વૃક્ષોની સંખ્યા 
ભારતમાં સૌથી ઓછી હોવાની ચિંતા રજૂ કરી. તેઓએ વૈજ્ઞાનિક રીતે વૃક્ષો વાવવા અને બાળકની જેમ ઉછેરવા ભાર મૂક્યો. સરકારની ખેતીવાડી યોજનાઓની વિગત પણ આપી.      
 
વનવિભાગના અધિકારી શ્રી ગઢવીએ સિહોર તાલુકામાં સરવેડી ગામ 'હરિયાળું ગામ' તરીકે લેવાયાની સહર્ષ વાત કરી. પ્રાકૃતિક સાંકળ તૂટતાં ઉપદ્રવી જીવોનો વધારો થતા પરેશાની વધે છે. તેમણે વૃક્ષ છેદન ન કરવા તેમજ તે સામે વન વિભાગના કાયદાની પણ જાણ કરી. 
 
શ્રી પ્રકાશભાઈ વાઘાણીના સંચાલન સાથેના આ કાર્યક્રમમાં સરવેડીના વતની પ્રતિભાઓનું મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
 
કાર્યક્રમના પ્રારંભે અગ્રણી શ્રી બાબુભાઇ વાઘાણીએ સ્વાગત ઉદબોધન સાથે વૃક્ષોનું ધાર્મિક અને પર્યાવરણ સંદર્ભ મહાત્મ્ય આપ્યું હતું.
 
'મારુ ગામ હરિયાળું ગામ' કાર્યક્રમમાં રંગિલા આશ્રમના શ્રી ભરતદાસબાપુ તથા અગ્રણીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. 
 
અહીં અગ્રણીઓ શ્રી પ્રવીણભાઈ રાઠોડ, શ્રી સંજયસિંહ સરવૈયા, શ્રી ગોકુલભાઈ આલ, શ્રી વિજયસિંહ ચુડાસમા, શ્રી લાલભા ગોહિલ, શ્રી જગદીશભાઈ જાઝડિયા, શ્રી મૂકેશકુમાર પંડિત તથા શ્રી ભવદીપભાઈ વાઘાણીએ પણ પ્રાસંગિક વાત કરી ગામની એકતાને બિરદાવી હતી. 
 
 પર્યાવરણના આ આયોજન પ્રસંગે શ્રી બાવચંદભાઈ લીંબાણી, શ્રી મૂળજીભાઈ મિયાણી, શ્રી નારણભાઇ ડાંગર, શ્રી સુરેશભાઈ દવે સહિત સરવેડીના બહાર વસતા વતનીઓ જોડાયા હતા. 
 
આભારવિધિ શ્રી ઘનશ્યામભાઈ વાઘાણીએ કરી ભાવવાહી વાતમાં વૃક્ષોના જતન પર ભાર મૂક્યો. 
 
અહીં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર - લોકભારતી સણોસરાના વૈજ્ઞાનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.