બાયસેગના માધ્યમથી ભીમડાદ ખાતે પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાનેકાર્યક્રમ યોજાયો
બોટાદ જિલ્લામાં રૂપિયા ૧૨.૬૦ કરોડના
વિવિધ પ્રોજેક્ટોનું ઈ-લોકાર્પણ – ખાતમૂહુર્ત કરતાં મુખ્યમંત્રીશ્રી
બોટાદ
બોટાદ જિલ્લામાં શિક્ષણ અને મહિલા તથા બાળ વિકાસ વિભાગના વિવિધ પ્રોજેકટનો ઈ-લોકાર્પણ – ખાતમૂહુર્તનો કાર્યક્રમ પાણી પુરવઠા વિભાગના રાજ્ય મંત્રીશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ભીમડાદ પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો.
આ પ્રસંગે રાજય મંત્રીશ્રી પરબતભાઇ પટેલએ જણાવ્યું હતુ કે, પારદર્શીતા – નિર્ણાયક્તા અને સંવેદનશીલતાને વરેલી રાજય સરકારે પ્રજા હિતકારી નિર્ણયો દ્વારા લોકોને સુશાસનની પ્રતિતી કરાવી છે.
ભૂતકાળના દાયકાઓમાં ગુજરાતમાં અનેકવિધ ક્ષેત્રોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક હતી, તેમ જણાવતા મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે, છેલ્લા બે દાયકાઓમાં સરકાર દ્વારા હાથ ધરાયેલા અભિનવ અભિયાનો – કાર્યક્રમો અને નવતર અભિગમોના પરિણામે ગુજરાત આજે વિકાસ ક્ષેત્રે રોલમોડેલ બન્યું છે.
ગુજરાતમાં શિક્ષણને વેગ મળે અને ભૌતિક સુવિધાઓની સાથે શિક્ષણમાં ગુણવત્તા આવે તે માટે શાળા પ્રવેશોત્સવ – કન્યા કેળવણી મહોત્સવ – ગુણોત્સવ જેવા કાર્યક્રમ દ્વારા આ સરકારે શિક્ષણને ધબકતુ કર્યું છે.
પાણી પુરવઠા રાજ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં પીવાના પાણી માટે સરકારે હાથ ધરેલા કાર્યોની વિગતો આપતા ઉમેર્યું હતુ કે, ભૂતકાળમાં ગુજરાતના ૨૬૦૦ જેટલા ગામડાઓને જુથ પાણી પુરવઠા યોજના દ્વારા પાણી મળતુ હતુ, જ્યારે આજે રાજ્યના ૧૨,૬૦૦ થી વધુ ગામોને આ યોજના દ્વારા પીવાનું ચોખ્ખુ પાણી પુરૂં પાડવામાં આવી રહયું છે.
ગુજરાતના સર્વાંગી વિકાસ માટે શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠા, વીજળી સહિતના વિવિધ ક્ષેત્રોના વિકાસ માટે રાજ્ય સરકારે અમલી બનાવેલ યોજનાઓ અને તેના નક્કર અમલીકરણનો ઉલ્લેખ કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, સર્વાંગી વિકાસની દિશામાં ગુજરાતને અગ્રેસર બનાવવાની નેમ સાથે વર્તમાન સરકારે લોક સુખાકારીના કાર્યો હાથ ધર્યા છે. જેની અનુભૂતિ છેવાડાના માનવીને થઈ રહી છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમાર અને જિલ્લા વિકાસ અધિકારશ્રી આશીષ કુમારે પ્રાસંગિક પ્રવચનમાં બોટાદ જિલ્લાના લોકોની સુખાકારી માટે જિલ્લા વહિવટી તંત્ર દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો આપી હતી.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી દ્વારા ગાંધીનગર ખાતેથી બાયસેગના માધ્યમથી બોટાદ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં રૂપિયા ૬.૭૯ કરોડના ખર્ચે નિર્માણ પામેલ ૭૮ ઓરડાઓનું ઈ-લોકાર્પણ અને અંદાજિત રૂપિયા ૫.૨૨ કરોડના ખર્ચે નિર્માણ પામનાર ૬૦ વર્ગખંડોનું ઇ-ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતુ.
આ તકે મુખ્યમંત્રીશ્રી ભીમડાદ પ્રાથમિક શાળાના એસ. એમ. સી. ના સભ્ય સાથે વાર્તાલાપ કરી શાળામાં નિર્માણ પામેલ ભૌતિક સુવિધાઓથી માહિતગાર થયા હતા. આ પ્રસંગે રાજય મંત્રીશ્રીના હસ્તે બીનખેતી હુકમની સનદનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટરશ્રી લીંબાસીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, કાર્યક્રમના અધિકારીશ્રી ઉપાધ્યાય, અગ્રણીઓ સર્વશ્રી સુરેશ ગોધાણી, મનહર માતરીયા, મહોબ્બતસિંહ ચાવડા, મહાવીરસિંહ, અધિકારી – પદાધિકારીશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.