મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન સ્વરૂપે
લાંચ આપવી કે લેવી તે સજાને પાત્ર ગુનો
લાંચ આપનાર કે લેનાર બંન્ને સામે કેસ નોંધવા સહિતની કાર્યવાહી
ભાવનગર ગુરૂવાર;
મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન સ્વરૂપે લાંચ આપવી કે લેવી તે સજાને પાત્ર ગુનો બને છે.લાંચ આપનાર કે લેનાર બંન્ને સામે કેસ નોંધવા સહિતની કાર્યવાહી કેદ અથવા દંડ અથવા બંન્ને શિક્ષાને પાત્ર છે.
જિલ્લા ચૂંટણી અધિકારી, ભાવનગરના જણાવાયા અનુસાર કોઈપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદ્દેશથી ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈ પણ લાંચ લેતી કે આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ- ૧૭૧(ખ) મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંન્ને શિક્ષાને પાત્ર છે.
કોઈ પણ ઉમેદવાર કે મતદાર કે અન્ય કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડવાની ધમકી આપતી કોઈ પણ વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૭૧(ગ) મુજબ એક વર્ષ સુધીની કેદ અથવા દંડ અથવા બંન્ને શિક્ષાને પાત્ર છે. લાંચ આપનાર કે લેનાર બંન્ને સામે કેસ નોંધવા તેમજ મતદારોને ધાક ધમકી આપવામાં સામેલ વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવા માટે ફ્લાઈંગ સ્કવોર્ડ ઉભી કરવામાં આવી છે. આથી તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારની લાંચ નહિ લેવા અને અન્ય કોઈ પણ વ્યક્તિ લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈ પણ પ્રકારની જાણકારી મળે અથવા મતદારોને ધાક ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો તે અંગે ફરિયાદ મેળવવા માટે જિલ્લા કક્ષાએ ઉભા કરવામા આવેલ ૨૪ કલાક અને સાત દિવસ (૨૪x૭) રીતે કાર્યરત ફરીયાદ દેખરેખ નિયંત્રણ એકમનાં ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૦૨૭૮ પર જાણ કરવા વિનંતી કરવામાં આવે છે.