ટીંબી ખાતે બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીનો
ષોડશી મહોત્સવ ઉજવાઈ ગયો
સંતો, મહંતો, ધર્માચાર્યો અને સેવકોની ઉપસ્થિતિ
ટીંબી ગુરુવાર તા.૭-૧૨-૨૦૧૭
સંતો, મહંતો, ધર્માચાર્યો અને સેવકોની ઉપસ્થિતિ સાથે ટીંબી ખાતે બ્રહ્મલીન સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીનો ષોડશી મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ ગયો.
જીવ અને શિવના સમન્વયના મર્મી સ્વામી શ્રી નિર્દોષાનંદજી સરસ્વતીજી બ્રહ્મલીન થતા આજે ટીંબી ખાતે સંતો, મહંતો, ધર્માચાર્યો અને સેવકોની ઉપસ્થિતિ સાથે ષોડશી મહોત્સવ ઉજવાઈ ગયો.
ભક્તિભાવ સાથેના આ મહોત્સવમાં પ્રાસંગિક સત્સંગ ઉદ્દબોધનમાં સદ્દશિષ્ય શ્રી ભોલાનંદજીએ ભાવાંજલિ અર્પણ કરતા તેમના છેલ્લા દિવસોના સંસ્મરણો રજુ કરી કહ્યું કે સ્વામીજીને તેમના દેહવિલયનો અણસાર આવી ગયેલો અને શિવકૃપાએ પોતાનું કાર્ય પૂર્ણ થતા હવે બ્રહ્મમાં લીન થઇ રહ્યો છું, આ નશ્વર શરીર ગંગાજીમાં વિસર્જિત કરવા પણ કહી દીધેલું.
સદ્દશિષ્ય શ્રી સદાનંદજીએ કહ્યું કે સદ્દગુરુ સ્વામીજી બ્રહ્મનિષ્ઠ હતા જે બ્રહ્મલીન થયા છે,તેમના દર્શાવેલા સદ્દ્માર્ગ પર ચાલવાની આપણને પ્રેરણા મળતી રહેશે તેમ ભાવ વ્યક્ત કર્યો હતો.
આ ષોડશી મહોત્સવમાં શ્રી અધ્યાત્મનંદજી, શ્રી પરમાત્માનંદજી તથા શ્રી કૃપાલાનંદજી મહારેજે શ્રદ્ધા-સુમન અર્પણ કરતા પ્રવચનો કર્યા હતા.
સ્વામીશ્રી જગદીશ્વરાનંદજી સન્યાસ આશ્રમ- ટીંબીના આયોજન તળે અહી શ્રી ખીમજીભાઈ દેવાણી, શ્રી દીયાળભાઈ વાઘાણી વગેરેના નેતૃત્વ સાથે આ મહોત્સવમાં શ્રી પ્રેમમૂર્તિનંદજી સ્વામી, શ્રી દલપતગીરિજી સ્વામી સહીત સ્થાનિક તથા રાજ્ય બહારના ધર્માચાર્યોએ અંજલી પાઠવી હતી.
ભાવિકો સેવકો દ્વારા ષોડશોપચાર પૂજન વિધી સાથે સ્વામીજીની સમૂહ મહાઆરની યોજાઈ હતી.
ઉદઘોષક શ્રી જીતુભાઈ મકવાણાના સંચાલન સાથે પ્રારંભે શ્રી પરેશભાઈ ડોડીયાએ સ્વાગત ઉદ્દબોધન અને અંતે શ્રી જગદીશભાઈ ભીંગરાડિયાએ આભારવિધિ કરેલ. મોટી સંખ્યામાં ભાવિક સેવકોએ સમૂહ પ્રસાદ લાભ લીધો હતો.