અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે
દાદરા નગરહવેલીના અંતરિયાળ પહાડી વિસ્તારમાં તૈયાર થનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી
પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન - દાતા શ્રેષ્ઠીઓનું સન્માન અભિવાદન
દાદરા નગરહવેલી
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ દ્વારા સંઘ પ્રદેશના દાદરા નગરહવેલીના અંતરિયાળ પહાડી વિસ્તારમાં અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. રવિવારે સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે સંતો મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ સંસ્થાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું સાથે દાતા શ્રેષ્ઠીઓનું સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું.
સંઘપ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ-દીવ અને લક્ષદીપના પ્રશાસક પ્રફુલ પટેલએ વિદ્યા ભારતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારોને બિરદાવ્યા હતા તાલીમ સંસ્થાના કામમાં જ્યાં જરૂર જણાય ત્યાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ પ્રશાસન દ્વારા તમામ પ્રકારે સહયોગ પુરો પાડવાની ખાતરી આપી હતી.આ વિસ્તારમાં પણ વિદ્યાભારતી દ્વારા બાળકોમાં સંસ્કારોની સાથે રાષ્ટ્રભાવના જગાવવાના આ અનોખા પ્રયાસ ને લઇ આનંદ વ્યક્ત કર્યો હતો.
રવિવારે એકેડેમીના ભૂમિપૂજન કાર્યક્રમમાં વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના પ્રદેશ સંગઠન મંત્રી મહેશભાઈ પતંગે દ્વારા કાર્યક્રમના આરંભમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમીના હેતુ અને વિશેષતા સહિત તેના મહત્વ વિશેની તમામ વિગતો સહીત એકેડેમીની રૂપરેખા રજૂ કરી હતી. મહત્વપૂર્ણ છે કે, દેશભરમાં અત્યારે નેતાજી સુભાષચંદ્ર બોઝની 125 મી જન્મ જયંતી ઉજવાઇ રહી છે આથી નેતાજીનું યોગદાન ચિરસ્મરણીય બની રહે તે માટે નાનકડા સંઘપ્રદેશમાં નેતાજી સુભાષચંદ્ર બોઝના નામથી મિલેટ્રી એકેડમીની શરૂઆત કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે વિદ્યાભારતી દ્વારા કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી નાના-મોટા હજારો શૈક્ષણિક સંકુલ ચાલી રહ્યા છે. વિદ્યા ભારતી દ્વારા દેશમાં હવે મિલેટ્રી એકેડમી પણ શરૂ કરવામાં આવી રહી છે.
સમગ્ર દેશમાં અત્યાર સુધી ઉત્તર પ્રદેશમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમીની શરૂઆત કરવામાં આવી છે ત્યારબાદ ગુજરાતના પડોશમાં આવેલા નાનકડા સંઘપ્રદેશ દાદરાનગર હવેલીમાં દેશના પ્રથમ સંઘપ્રદેશમાં અનોખી મિલેટ્રી એકેડમી શરૂ કરવામાં આવનાર છે . આ સંસ્થાનું સંચાલન વિદ્યાભારતી દ્વારા કરવામાં આવશે વર્ષ 2023 સુધી મિલેટ્રી એકેડમી શરૂઆત થઈ જશે.. નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડેમીમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને વલસાડ જિલ્લા ઉપરાંત આસપાસના વિસ્તારના આદિવાસી અને પછાત વિસ્તારના બાળકોને પાયાથી જ સંસ્કારોની સાથે સેનાનું શિક્ષણ, પ્રશિક્ષણ અને તાલીમ મળી રહે તેમને દેશના પાયદળ, નૌકાદળ અને હવાઈદળમાં સેવા કરવાનો અવસર મળે તે હેતુથી અંતરિયાળ વિસ્તારમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમીની શરૂઆત કરવામાં આવી રહેલ છે. અંદાજે 50 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આ સૈનિક શૈક્ષણિક સંકુલમા 640 જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવા રમતગમત અને શિક્ષણનીતાલીમ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઊભી થશે.
સમારંભમાં ઉપસ્થિત સંતો-મહંતોએ મિલેટ્રી એકેડેમીના શુભારંભ વખતે આશીર્વાદ પાઠવ્યા હતા. વિદ્યાભારતી ઉચ્ચ શિક્ષણના રાષ્ટ્રીય સંગઠન મંત્રી પ્રકાશચંદ્રજી , બગદાણા બજરંગદાસ બાપા આશ્રમના મોભી મનજી બાપા ,રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ગુજરાત પ્રાંત કાર્યવાહ યશવંતભાઈ ચૌધરી ,એનસીસીના કમાન્ડીગ અધિકારે કર્નાલ ડી બી પાઠક , વિદ્યાભારતીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડૉ સુભાષભાઈ દવે , વિદ્યાભારતી ગુજરાત પ્રદેશના મહામંત્રી ડૉ નીતિનભાઈ પેથાણી, નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી સમિતિ રાંધાના અધ્યક્ષ બદરુદ્દીન હાલાણી અને મંત્રી પરર્મેન્દ્રભાઈ પરમાર , દાદરા નગરહવેલીનાં સાંસદ મોહન ડેલકર , વલસાડના સાંસદ ડૉ કે સી પટેલ સાથે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી તેમજ વલસાડ જિલ્લાના રાજકીય અને સામાજિક અગ્રણીઓ, શ્રેષ્ઠી દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા .
મહત્વપૂર્ણ છે કે આ લશ્કરી શૈક્ષણિક સંકુલનું નિર્માણ અંદાજે 50 કરોડના ખર્ચે દાતાઓ અને સમાજના શ્રેષ્ઠીઓ ના સહયોગથી કરવામાં આવનાર છે. કાર્યના શુભારંભમાં જે દાતાઓ એ પોતાનો આર્થિક ફાળો આપ્યો છે તેવા દાતાશ્રેષ્ઠીઓ વિપિન ભાઈ કાલરા, જીતુભાઈ લાલ જામનગર, અને રાજુભાઈ હાલાણીનું પ્રશાસક પ્રફુલ પટેલના હસ્તે સન્માન અભિવાદન કરવામાં આવ્યું હતું . આ પ્રસંગે વિદ્યાભારતીના ગુજરાત પ્રદેશ અને કેન્દ્રના પણ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.