રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ

10th , December 2020

હૃદયરોગથી અજાણ વીરપુરના ખેડૂત પરિવારના બાળકને મળ્યું નવજીવન

        સરકાર દ્વારા બાળકોનું આરોગ્ય જળવાય તે માટે રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ સહિતની અનેક સ્વાસ્થયલક્ષી યોજનાઓ અમલમાં મૂકાઈ છે.બાળકોના આરોગ્ય માટે પ્રયત્નશીલ રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ ભાવનગરના જેસર તાલુકાના નાના એવા વીરપુર ગામના ખેડૂત પરિવાર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.

       કાર્યક્રમ અંતર્ગત જેસરના વીરપુર ગામના ખેડૂત શ્રી જયવંતસિંહ ચૌહાણના નવજાત પુત્રનું હૃદય રોગનું નિદાન કરી યુ.એન.મહેતા સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં તાજેતરમાં સફળ ઓપરેશન કરી ભયમુક્ત જાહેર કરવામાં આવતા સમગ્ર પરિવારમાં ખુશીની લહેર છવાઈ હતી.

       રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત જેસર તાલુકાના વીરપુર ગામના વાડી વિસ્તારમાં રહેતા જયવંતસિંહ ચૌહાણના પુત્ર મિતરાજસિંહને શ્વાસ ચડવો, વધારે રડવાની તથા હોઠ ભૂરા પડી જવાની તકલીફ જણાતા આર.બી એસ.કે. ટીમે તેમના ઘરે જઈ તપાસ કરતાં હદય રોગની શંકાના આધારે વધુ નિદાન અને સારવાર અર્થે સંદર્ભ કાર્ડ અને દરખાસ્ત ભરી સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ભાવનગર ખાતે રીફર કરવામાં આવેલ હતું. જ્યાંથી હૃદય સંબંધી તકલીફ વધુ જણાતાં બાળકને યુ.એન.મહેતા સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ઓપરેશન માટે રીફર કરવામાં આવ્યું. જ્યાં તેના હૃદયમાં Large VSD અને  Trunchus Arteriosus ની તકલીફ હોવાનું નિદાન થયું હતું. શરૂઆતમાં ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા મિતરાજસિંહના વાલીએ ઓપરેશન કરાવવા બાબતે અસંમતિ દર્શાવી હતી. પરંતુ મેડિકલ ટીમ દ્વારા વાલીને ઓપરેશનની વિગતો તથા આવશ્યકતાથી વાકેફ કરાવી તેને મનાવ્યા હતા.

         ગત તા. 4/11/2020 ના રોજ હૃદયનું જટિલ અને દસ લાખ સુધીનું ખર્ચાળ ઓપરેશન ખેડૂત પરિવાર માટે વિનામૂલ્યે થતા તથા આવન-જાવન માટે ટિકિટનો ખર્ચ અને ત્યાં જમવાનો ખર્ચ પણ સરકારે ભોગવતા સમગ્ર પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી.અને પરિવારે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને તાલુકા હેલ્થ ઓફિસર ડો. કણઝરીયાના માર્ગદર્શન હેઠળ ઉપેન્દ્રભાઈ ભાદરકા,ડો.બીપીન ટાઢા, ડો.વિશાલ માંડવીયા, ડો. કેતાબા સરવૈયા, ઉદયભાઇ તથા ધારાબેનની કામગીરીને બિરદાવી હતી.

         સરકાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જન્મજાત ગંભીર રોગો જેવા કે જન્મજાત હદયરોગ, બધિરતા, મોતિયો, કલેફ્ટ લિપ અને પ્લેટ જેવા રોગોને શોધીને તેને સંદર્ભ કાર્ડ ભરી સારવાર તદ્દન વિનામૂલ્યે કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ૦ થી ૧૮ વર્ષના શાળા અને આંગણવાડીના તમામ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવે છે.

(અહેવાલ : વિરેન્દ્રસિંહ પરમાર)