એ ભાવ માઁ છે

10th , May 2020

બધા અભાવ ઓગાળી નાખોને જે વધે, બચે એ ભાવ 'માઁ' છે
મા એક અભિગમ છે જે પુરુષમાં પણ હોય શકે

'માઁ' 
આ શબ્દ નથી એક આખું આયખું સમાય જાય એવું પૂર્ણ વાક્ય છે.
જેને લખ્યાં વગર વાંચી શકાય,
જેના પ્રેમની અનુભૂતિ શાશ્વત છે,
નિઃસ્વાર્થ પ્રેમનું એ પ્રકાશકિરણ છે,
બધા અભાવ ઓગાળી નાખોને જે વધે ,બચે એ ભાવ 'માઁ' છે.
માઁ એ છે જે જગત આખા સામે તમારી માટે લડે છે,ને પછી તમારો વારો પાડે છે. માઁએ છે જે આપણું ઉપરાણું લે છે.
આપણા શુભ માટે ,સફળતા માટે સતત પ્રાર્થના કરે છે. માઁએ પરમ અસ્તિત્વનો અદશ્ય ચમકારો ને ચમત્કાર છે.
તેની આંખોમાં આપણી માટે બોલાયેલા, ઈચ્છેલા આશીર્વાદ આપણે અનુભવી શકીએ.જગત આખું તમારી માટે ખરાબ ઈચ્છે, કરે પણ એક વ્યક્તિનો જ કરે એવી શ્રધ્ધા એટલે માઁ .
આપણે સારા હોયે કે ખરાબ ,સફળ હોયે કે નો હોયે તેમ છતાં એ સ્વીકારે ખુદના એક અંશની જેમ એ માઁ . આપણા જન્મની સાથે તેના બધા સપના ,બધી ઇચ્છા, બધા શોખ પર જે પૂર્ણવિરામ મૂકી દે એ મા .
પણ માઁ શું નાળનો જ સબંધ છે?
માઁ શું એક જાતિ છે?
કદાચ નહીં , કેટલાક લોકો તમારા જીવનમાં, તમારા સુખ દુઃખના એવા સહભાગી હોય છે કે એમ થાય કે આ 'માઁ' છે.
મા એક અભિગમ છે જે પુરુષમાં પણ હોય શકે છે એટલે મા બનવા માટે સ્ત્રી હોવું જરૂરી નથી.મેં કેટલાંય પુરુષોને માઁ બની બાળકોને ઉછેરતા ,સંભાળતા, સાચવતાને સમજાવતા જોયાં છે, બગીચામાં જીદ કરતાં બાળકોને નરમાશથી સાંભળતા જોયા છે.આજના દિવસે એ દરેક પુરુષમાં રહેલ માતૃત્વને વંદન છે.મારા જીવનની કેટલી એવી ક્ષણો છે જેમાં કેટલી વ્યક્તિઓ માઁની જેમ પડખે રહી હૂંફ અને સાથે છું એવો એહસાસ કરાવ્યો છે એ દરેક વ્યક્તિને પણ સલામ છે.
અમુક વ્યક્તિત્વ બધાની 'માઁ' જ હોય,જેમાં
શ્રી મૃદુલાબેન પારેખ,
જેની દરેક સલાહમાં'માઁ'નું ડહાપણ હોય,
જેની દરેક વાતમાં 'માઁ'ની હૂંફ હોય,
જેની દરેક ભેટમાં 'માઁ' કરિયાવરનો પ્રેમ હોય,
જેના દરેક શબ્દોમાં 'માઁ'ના આયખાની ગહનતા હોય,
શ્રી અનિલાબેન પંડ્યા કેટલા અનાથ બાળકોની માઁ બની જગત અને જીવનને સુંદર બનાવે છે.
શરીર થી શરીર છૂટું પાડીને આપણી મા બનતા હોય છે તો અમુક લોકો તમે જગતથી ,બધાથી ,ખુદ જાતથી છુટા પડી જતાં હો છો ત્યારે આધાર અને ખોળો આપે છે.
જે માઁ નામના અભિગમને ,એ ભાવને આ સ્વાર્થી જગત વચ્ચે જીવાડે છે એ પુરુષ પણ હોય શકે ને સ્ત્રી પણ.
હવે ક્યાંક માઁ નામના અદભુત ઈશ્વરીય સર્જનને કળિયુગનો સ્પર્શ થઈ ગયો છે. આજના દિવસે આ કહેવું જરૂરી નથી પણ માઁપણાને સજીવન રાખવા માટેની અરજ છે. આજે સમાજમાં ક્યાંક જોઉ છું કે બે સંતાન માંથી વધુ કમાતા,સફળ દીકરા માટે લગાવ વધુ છે,બે સંતાન માંથી એક સંતાન વિકલાંગ હોય તો તેના lunchboxમાં ફર્ક હોય છે,દીકરો કે દીકરી તેમના માટે ભણવાની કઈ લાઇન લેવી એમાં ક્યાંક ફર્ક છે ( ક્યારેક પિતા એમ કહે છે તેને ગમે એ ભણવા દે ને ત્યારે મા એવું કહે છે કે તે ભણશે તો પારકા ઘરને ફાયદો થશે !) આ ફર્ક માત્ર આટલો છે? કે ક્યાંક માઁ પોતાને ભૂલી ગઈ ?
જગત તમારી સાથે જે વહેવાર કરે એવો જ વહેવાર તમારી મા તમારી સાથે કરે !? કયા જઈને ઈશ્વરને શોધવાનો ?
મારી શાળાના બાળકો મને જીવન,જગત,સબંધ,પ્રેમ,લાગણી બધું જ બહુ શીખવ્યું છે તેમની સાથેના વહેવાર જયારે પોતાના લોકોના જોઉ છું ત્યારે સવાલ દરેક સબંધ માટે થાય છે પણ માઁ માટે પહેલો થાય છે કે તું આમ કરીશ?
એવા કપરા સમયે પણ એક બાપને ,એક દાદાને મા બનતા જોઉ છું તો શત શત નમન કરું છું,
આ દિવસે એ દરેક માઁ ને હું દસ આંગળીના સલામ કરું છું જેઓ પોતાના આવા બાળકોના અસ્તિત્વ માટે લડે છે. પોતાના નબળા બાળકની ઢાલ બની જીવે છે.એ દરેક સ્ત્રી ,પુરુષ ને વંદન કરું છું, જેઓ પ્રસંગે પ્રસંગે ,દરેક પરિસ્થિતિમાં પોતાના માઁ તરીકેના ભાવને બહાર લાવી કોઇ અજાણ્યાને આધાર આપે છે. એ દરેક માઁને ઈશ્વરે સર્જનશક્તિ આપીને એક વિલક્ષણ વ્યવસ્થાની ભાગીદાર બનાવી છે. એક અઘોષિત, અવ્યક્ત વ્યવસ્થાનું જે પાલન દરેક મા કરી રહી છે તેને પણ વંદન છે.
જે આમ સાસુ છે પણ માઁ બનવાનું ચુકતી નથી એવી ઘણી સ્ત્રીઓ મારી નજર સામે છે, જેમાં જય વસાવડાના મામી ભાવનાબેન પહેલા આવે તેમને પણ યાદ કરું છુ.
ભાવનગર જિલ્લાના કેટલાય physically handicapped, Blind, Hearing impairment, mentally challenged આવા અનેક લોકોને કામ આપીને, એક માઁની જેમ આ જગતમાં પોતાનું અસ્તિત્વ ઉભું કરવામાં પડખે રહે છે અને ભવિષ્યની ચિંતા પણ કરે છે એવા શ્રી નિશિથભાઇ મહેતા અનન્ય છે.
છેલ્લે મારી માઁ જેને મને જન્મ આપવાની પીડા લીધી, ખૂબ શીખવ્યું , પુરુષ માટેની ,જગતમાટેની સમજ આપી, એકલા જીવવાની આવડત આપી તેને ખુબ વ્હાલ.
જીવનની અનેક મુશ્કેલી, દુઃખો,નિરાશા,અસહાયતા,એકલાપણુ , ન ગમતા સમાજમાં ટકી જવાની સમજ આપતા એવા માઁના પ્રેમની તોલે આવતા , નજીક અને દૂર રહીને સાથે રહેતા વ્યક્તિ જેમાં પરમ આદરણીય પૂજ્ય મોરારીબાપુ, જેમની નજરમાં માઁની કરુણા છે.
જય વસાવડા જે માઁની જેમ દરેક સાહસ અને પડકારો કરવા માટે સાથે રહે,
સુભાષ ભટ્ટ જે માઁની જેમ દરેક પરિસ્થિતિમાં સાથે જ રહે.
મારી એવી મિત્ર જે દીકરી જેવી છે પણ માઁની જેમ રાડો નાખીને મને મૂર્ખ બનતાં રોકે છે રિદ્ધિ - ભાવિકા.
મારાં દરેક કાર્યમાં મારા માટે અંનત પ્રાર્થના કરે છે એવી કૃપા, શાકિરા, કુલસુમને વંદન.
દરેક વ્યક્તિમાં આ માઁ નામનો ભાવ જાગૃત થાય,
સમાજમાં જટાયુ મનોવૃત્તિ સજીવ રહે જે અજાણ્યાના સંઘર્ષમાં સહભાગી બને.
પૃથ્વીના કોઈપણ ખૂણે દરેકને કોઈ માઁ જડી આવે એવી આ દિવસની શુભકામના.

- નેહલ ગઢવી