વિધવા સહાય ચૂકવવાની કામગીરીમાં ભાવનગર જિલ્લો સમગ્ર રાજયમાં મોખરે
૪ માસના ટૂંકાગાળામાં સમગ્ર જિલ્લામાંથી વિધવા સહાય અંગેની 14,369 અરજીઓ મંજુર કરાઇ
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં વિધવા બહેનોના પુનઃ સ્થાપન અંગેની વિધવા સહાય યોજના અન્વયે ઠરાવ કરવામાં આવ્યો. જે અંતર્ગત ૨૧ વર્ષથી મોટી ઉંમરના પુત્ર હોય તેવી વિધવા બહેનોને પણ વિધવા સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી.તેમજ સહાયનું ધોરણ રૂ.૧૦૦૦ ને બદલે રૂ.૧૨૫૦ કરવાનો સંવેદનશીલ નિર્ણય કરવામાં આવ્યો.
ભાવનગર જિલ્લા વહીવટી તંત્રએ પણ સરકારશ્રીના આ સંવેદનશીલ નિર્ણયને એટલી જ સંવેદનાથી ઝીલ્યો. તત્કાલિન જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ દ્વારા જિલ્લાના તમામ તાલુકાઓમાં તમામ મામલતદારશ્રીઓને વિધવા બહેનોને વિધવા સહાયનો લાભ તાત્કાલિક મળી રહે તે માટે 'ખાસ ઝૂંબેશ' રૂપે કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી.જે અન્વયે તમામ તાલુકાઓમાં તાલુકા દીઠ ૩ થી ૧૫ જેટલી ટીમો બનાવવામાં આવી.જેણે દરેક તાલુકાઓમાં વિધવા સહાય અંગેના ખાસ કેમ્પોનું આયોજન કર્યું.વહીવટી તંત્રની ઝડપભેર કામગીરી શરૂ થતાની સાથે જ તા.૧/૪/૨૦૧૯ થી તા.૩૧/૭/૨૦૧૯ દરમ્યાન ભાવનગર જિલ્લામાં ૧૫,૬૧૪ અરજીઓ તંત્રને મળી. અત્રે ઉલ્લેખનીય છે કે આવેલ અરજીઓનો આ આંકડો સમગ્ર રાજ્યનાં દરેક જિલ્લાઓમાં સૌથી મોખરે છે.આટલા મોટા પ્રમાણમાં અરજીઓ મળેલ હોય તેમજ નવી અરજીઓની આવક પણ સતત ચાલુ હોય જિલ્લા કલેકટરશ્રી તેમજ સમગ્ર જિલ્લા વહીવટી તંત્રએ રાત દિવસ એક કરી ખૂબ જ ટૂંકાગાળામાં આવેલ અરજીઓની ચકાસણી કરી તેમાંથી ૧૪,૩૬૯ અરજીઓ મંજૂર કરી અને તા.૨/૮/૨૦૧૯ એટલે કે રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસથી વિધવા બહેનોને માસિક સહાય યોજના હેઠળ લાભ આપવાનું શરૂ કરવામાં આવ્યું.આમ,સમગ્ર રાજ્યમાં હકારાત્મક અભિગમ કેળવી સૌથી ઝડપભેર અને સૌથી વધુ લાભાર્થીઓને લાભાન્વિત કરી જિલ્લા વહીવટીતંત્રએ સરકારશ્રીના સંવેદનશીલ અને પારદર્શક અભિગમને ઝીલ્યો.
આ કામગીરીની રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પણ નોંધ લીધી અને તત્કાલિન કલેકટર શ્રી હર્ષદ પટેલ તથા સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને શુભસંદેશ પાઠવી સમગ્ર કામગીરીને બિરદાવી.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારશ્રીના સંવેદનશીલ અને પારદર્શક નિર્ણયના અમલ માટે જે કટિબદ્ધતા દર્શાવાઈ તે અનેક વિધવા બહેનોને આર્થિક પુનઃસ્થાપન માટે મદદરૂપ નીવડશે.
સંકલન:- વિરેન્દ્રસિંહપરમાર
તસવીર:- હિરેન ત્રિવેદી