રાષ્ટ્ર પ્રેમ - રાષ્ટ્ર ભક્તિ

22nd , February 2019

 

જય હિન્દ, જય ભારત, વંદે માતરમ...

નારા લગાવો એટલે રાષ્ટ્ર પ્રેમ - રાષ્ટ્ર ભક્તિ પૂરા.!?
 
સમાજ પ્રત્યે પ્રેમ અને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ, આ બધું પ્રદર્શિત કરવા માટે છે કે તેના પ્રત્યે ફરજ બજાવવા માટે છે? અવનવા કાર્યક્રમો આપી તે, કાર્યક્રમો રજૂ કરી લ્યો એટલે વાહ વાહ..! પ્રદર્શન કરનારા અને નારા લગાવનારા પણ ખૂશ અને તેને જોઈને તાળીઓ પાડનારા પણ ખૂશ... વાહ રાષ્ટ્રપ્રેમ અને વાહ રાષ્ટ્રભક્તિ...!
 
રાષ્ટ્રપ્રેમ -ભક્તિ માત્ર રાષ્ટ્રીય પ્રતિકોના દર્શન , પ્રદર્શક કે તેના જ કાર્યક્રમો પૂરતી સિમીત હશે, તેવો દેખાવ સર્વત્ર લાગી રહ્યો છે. બાર મહિનામાં બે વખત સ્વાતંત્ર્ય દિવસ અને પ્રજાસત્તાક દિવસ ખાદીના કે ગમે તેવા ઝભ્ભા લેંઘા સાથે ધ્વજવંદન કરવા જાવ એટલે રાષ્ટ્ર પ્રત્યે વફાદાર, રાષ્ટ્રપ્રેમી. ખાદીનો પહેરવેશ પહેરો એટલે સમાજ સેવક... આવું જોઈએ છીએ, કરીયે છીએ અને વળી માણીયે પણ છીએ.!  
 
   કોઈ એક આધુનિક પોશાકમાં આપણી પાસે આવે અને તે કોઈના માટે રક્તદાન કરીને આવ્યો હોય, બીજી તરફ ગમે તેવી ગોલમાલ કફની ઝભ્ભો પહેરી આપણી પાસે આવે... આ બંનેમાં આપણે સમાજ સેવક કોને માનીયે છીએ...? પ્રશ્ન સૌની આસપાસ કાયમને માટે રહેલો છે...!
 
     ધ્વજવંદન માટે કોણ લાયક વ્યક્તિ છે? જેમના હાથે તિરંગો ફરકાવવો હોય તે વ્યક્તિ કેવી હોવી જોઈએ? સમજ્યા તમે?... કેવી હોવી જોઈએ અને કેવી હોય છે...? કેટકેટલાંયે કૌભાંડો કર્યા હોય, મોટા આવા નેતાઓને તો વળી તપાસ પણ ચાલતી હોય, તો પણ સુંદર મજાના પહેરવેશમાં રાષ્ટ્રના પનોતા પુત્ર બની જઈ કેવા ઠાવકા થઈને ધ્વજવંદન કરીને ભાષણ આપતા હોય છે? કઠણાઈ છે, આપણી લોકશાહીની આ આડઅસર તો જુઓ...!
 
 ગ્રામપંચાયતથી લઈ સંસદ સુધી બેઠેલા પ્રતિનિધિત્વ કરી રહેલા કાર્યકરો, આગેવાનો, નેતાઓ।.. આ બધા સમાજસેવા માટે જોડાતા રહે છે, પરંતુ પોતાની ચૂંટણીના હિસાબો સાચા આપે છે ખરા? ચૂંટણીપંચના નિયમો મૂજબ આ ઉમેદવારોએ ખર્ચ કરવાના હોય છે જયારે નિયમવિરુદ્ધ ખર્ચ કરી ચૂંટણી જીત્યા હોય છે, પ્રારંભમાં જ કાયદાનો ભંગ...! આગળ ઉપર સમાજની સેવા કેવી થશે? હોદ્દાની શપથવિધિ માત્ર લેવા માટે હોય છે, અનુસરવા માટે હોય તો તો તેઓને પણ પાંચ વર્ષ પૂરા કરવા અઘરા પડી જાય.!  
 
માત્ર નેતાઓની જ વાત નથી, આમ નાગરિકો પણ ક્યાં રાષ્ટ્રને વફાદાર જોવા મળે છે? પોતાના કોઈ ખોટા કામ તંત્ર પાસેથી કઢાવી લે તો જ તો 'હોશિયાર' ગણાય છે, બીજાં કોઈ  ખોટું કામ કરે તો તે 'રાષ્ટ્રદ્રોહી' લાગવા માંડે છે. કોઈ નેતા આપણું ખોટું કામ તેના અધિકારી પાસેથી કઢાવી આપે તો એ નેતા 'વ્યવહાર કુશળ' ગણાય, આ માટે 'બીજા વ્યવહાર' ભલે કરવા પડે... બોલો.!   
 
સમાજસેવા માટે નેતા બનેલા પ્રતિનિધિઓ ચૂંટાયા પછી જે તે વિસ્તાર કે પ્રજા સામે જૂએ છે, ખરા? ના... ના... ના...! પ્રજાનો 'સેવક'  પછી પ્રજાનો 'સાંઢ' બની જાય છે. આપણા જ મતથી તે 'સાંઢ' બની જાય છે, પણ ફરી બીજી ચૂંટણીમાં આપણે તો આપણી જ્ઞાતિ, આપણી જાતિ, આપણો  વિસ્તાર, આપણો  પક્ષ... વગેરે મૂદ્દાઓથી 'સાંઢ' બનવા જ તેવાને ચૂંટીએ છીએ...! મતદાન એ પવિત્ર ફરજ છે એ ભૂલી જઈએ છીએ અને મતદાન એ સ્વાર્થી જ્ઞાતિવાદી કે પક્ષાપક્ષી સાથેની ફરજ છે તેવું આપણે  માનીએ છીએ, પછી પાંચ વરસ ભોગવીએ છીએ...!
 
રાષ્ટ્ર સ્વતંત્ર થયાને કેટલા વર્ષો થયા, પણ હજુ કંઈક  કંઈ વસવસો રહ્યા કરે છે, વધ્યા કરે છે... એક વિદેશી ગૂલામીમાંથી મૂક્ત થયા અને હવે સ્વદેશી ગૂલામી ભોગવી રહ્યા છીએ... કારણ કે રાષ્ટ્ર શું? સ્વતંત્રતા શું? સમરસતા શું? સાર્વભૌમત્વ શું? કશું જ જાણતા નથી... બસ જય હિન્દ, જય ભારત, વંદે માતરમ... આવા નારા લગાવીને દેશ-રાષ્ટ્રનો જય જય કાર કરી લઈએ છીએ... એટલે પૂરું...!  
 
વિવિધ જોગવાઈ, કાયદા, સહાય... વગેરેમાં ગરીબ પછાત વધુને વધુ પાછળ ધકેલાતા જાય છે, તેમાંના કેટલાક તેનો ગેરલાભ લઈ માલેતૂજાર બની રહ્યા છે. સરકારના આંકડાની માયાઝાળમાં આ વઁચિતો આગળ આવી રહ્યા છે... અરે... રે...!
 
સમાજ સેવા કે સમાજ પ્રેમ બધું કાર્યક્રમોમાં સમાઈ ગયું લાગે છે. જાત જાતના અને ભાત ભાતના સૂત્રોચ્ચાર કરો, નારા લગાઓ એટલે રાષ્ટ્ર પ્રેમ - રાષ્ટ્ર ભક્તિ પૂરા...!? ... પણ આવું થઈ રહ્યું છે, આપણે જ કરી રહ્યા છીએ... નેતાઓને આપણે જ બનાવીએ છીએ... દોષ આપણો જ છે... જય હો...! 
 
-મૂકેશ પંડિત